ગુપ્તચર – અબ તેરી હિમ્મત કી ચર્ચા ગૈર કી મહફિલ મેં હૈ…
===================================
બિજાપુરના બાળક નવાબ આદિલશાહની માતા બડીબેગમ ચિન્તાતુર હતી. કારણ, કે તેમની જ સેનાના એક અધિકારી એવા શાહજીના સાવ સોળ વર્ષના છોકરા શિવાજીએ બિજાપુર સલ્તનતનો તે દિવસ સુધી અજેય ગણાયેલો ગઢ તોરાણા જીતીને પોતાના બાપનો – સોરી પોતાનો કરી લીધો હતો. પરિણામે શાહજીને તો બન્દી બનાવી લેવામાં આવ્યા હતા. પણ આ છોકરાનું શું કરવું એ પ્રશ્ન થઇ પડ્યો હતો. કારણ કે છોકરાએ એક પછી એક એવા તો દસ ગઢ પર કેસરિયો ફરકાવી દીધો હતો. બડી બેગમે દરબારમાં પાનનું બીડું ફેરવાવ્યું કે છે કોઈ શૂરવીર, જે આ છોકરાની વિજયયાત્રા રોકી શકે? એ બીડું ઉઠાવ્યું અફઝલખાને. બડી બેગમે સાચાં મોતીઓથી વધાવ્યો એને. એના અભિયાન માટે સેના સજ્જ કરવા લાખો રૂપિયાનું બજેટ ફાળવ્યું. છ કે આઠ મહિના તો સૂક્ષ્મ આયોજન કરવામાં લગાડ્યા, સેના સજ્જ કરી.
સેનાએ વાજતે ગાજતે બિજાપુરથી પ્રસ્થાન કર્યું. ભેરી અને શરણાઈઓના નાદ સાથે ગઢનાં શણગારેલાં દ્વાર ઉઘડ્યાં, અને એક ભવ્ય ગજરાજે એમાંથી બહિર્ગમન કર્યું, જેની પીઠ પર અંબાડીમાં સિપહ સાલાર અફઝલખાન બેઠો હતો. ગઢની રાંગ પર ઊભી મહિલાઓએ અભિયાન પર નીકળેલા અફઝલખાન પર પુષ્પોની વૃષ્ટિ કરી.
પણ ત્યાં તો અચાનક …
હાથીને ચક્કર આવ્યા, અને નિર્જીવ થઈને પડ્યો ભૂમિ પર. અફઝલખાન માંડ બચ્યો.
આ અપશુકને અફઝલખાનની વીસ હજારની સેનાનું નૈતિક બળ તોડી નાંખ્યું. જે બિજાપુર ક્ષણભર પહેલાં સંભવિત વિજયની અપેક્ષામાં મહાલતું હતું તે અપશુકન થવાના કારણે ભયભીત થઇ ગયું હતું. અમંગળની બહુ મોટી એંધાણી મળી હતી.
પણ શું થયું હતું હાથીને! કેમ આમ નગરમાંથી બહાર આવવાની સાથે જ ચક્કર ખાઈને પડ્યો?
કોઈ કહી ન શક્યું. હા. અમુક સૈનિકો, અને સેવકોનો નાનકડો એક સમૂહ બિજાપુરમાંથી અદૃશ્ય થઇ ગયો હતો.
એ સમૂહનો નેતા હતો બહિરજી જાદવ. શિવાજીનો બાળપણનો મિત્ર, અને સ્પાય માસ્ટર. જેના વિષે આપણે નામ સિવાય કાંઈ જ નથી જાણતાં. કારણ કે તેણે જણાવા દીધું પણ નહતું. मौनं चैवास्मि गुह्यानाम् એ ભગવદ્વચનનું એ મૂર્તિમાન સ્વરૂપ હતો.
અને એ જ તો એની સિદ્ધિ હતી! શાહજીના સોળ વર્ષના છોકરાની છત્રપતિ શિવરાજ નામે ઇતિહાસમાં અમર થઇ જવા સુધીની યાત્રાનો બહુ મોટો આર્કિટેક્ટ હતો એ. જેટલું માતા જીજા, કૌણ્ડિન્ય શાસ્ત્રી, સમર્થ ગુરુ રામદાસ, તાનાજી માલુસરે, બાજીપ્રભુ દેશપાંડે, નેતાજી પાલકર, મૈનાક ભંડારી, પ્રતાપરાવ ગુર્જર, હમ્બીરરાવ મોહિતે, કાન્હોજી આંગ્રેનું એમાં યોગદાન હતું એટલું જ એનું પણ હતું. જેના માટે શિવાજી પ્રસિદ્ધ છે તે છાપામાર યુદ્ધ શત્રુપક્ષ અને તેમનાં આયોજનોની આગોતરી માહિતી વિના શક્ય નથી. જે લાવી આપવાનું કામ એનું જ હતું.
સૂરતમાં ઔરંગઝેબને કર આપતા વ્યાપારીઓ ક્યાં રહે છે, તેમના પરિવારમાં કોણ કોણ છે, વાર્ષિક આવક અને નફો કેટલાં છે, અને તેમની પાસેથી કેટલો વધારાનો કર લેવાય તો તેમના જીવનસ્તરને આંચ ન આવે, તેટલી સૂક્ષ્મ ગણતરીના રિપોર્ટ શિવાજીને સૂરત પર આક્રમણ પહેલાં પહોંચાડવામાં આવ્યા હતા. સદાવ્રત ચલાવતા એક વૈષ્ણવ શ્રેષ્ઠીના ઘર પર એક સંકેત મુકાઈ ગયો હતો જેને સ્પર્શવાનું નહતું. આ બધું જ શક્ય બનતું હતું વીર બહિરજી જાદવના નેતૃત્વમાં.
અને એ જ સહુથી મોટું કારણ છે, કે શિવાજીના જીવનનો અભ્યાસ કરનારા વિદ્વાનો શિવાજીના મૃત્યુ માટે સોરાયાબાઈએ વિષપ્રયોગ કર્યો હોવાના અનુમાનને ટેકો નથી આપતા. બહિરજી જેવો ભડવીર જેમનો સુરક્ષા નાયક હોય તેના પર વિષપ્રયોગ કોઈ વિચારી પણ શકે!
– – – – – – – – – –
યજુર્વેદની તૈત્તિરીય સંહિતામાં એક પ્રકરણ છે રુદ્રાષ્ટાધ્યાયી. ઈશ્વરના સગુણ સાકાર સ્વરૂપના ઉપાસકોએ એને ભગવાન શિવની ઉપાસનાને સમર્પિત કર્યું છે. એમાં એક અધ્યાય છે શતરુદ્રીય. એનું મૂળ નામ છે વીરપ્રશંસા. એમાં રૌદ્ર સ્વરૂપના વીર યોદ્ધાને ભૂરી ભૂરી નમસ્કાર છે. રુદ્રાભિષેકમાં જે અધ્યાયનું અગિયાર વાર આવર્તન કરવામાં આવે છે તે આ અધ્યાય છે. એમાં યુદ્ધમાં યોગદાન આપનારા પ્રત્યેકને નમસ્કાર કરવામાં આવ્યા છે; ત્યાં સુધી, કે યોદ્ધાઓના ઘોડા અને કુતરાઓને પણ. વીરરસ એ આ અધ્યાયનો મુખ્ય રસ છે. એની અમુક ઋચાઓના અર્થો તો જુઓ!
દુઃખોને દૂર કરનારા હે રુદ્ર, તારા ક્રોધને નમસ્કાર. તારી ભુજાઓને નમસ્કાર. હે પર્વતોમાં વસનારા વીર યોદ્ધા, અમારા પર મંગલદાયક, પુણ્યપ્રકાશક દૃષ્ટિ કરો અને તમારા સુખદાયી શરીરબળથી અમારી રક્ષા કરો. હે શત્રુઓનો નાશ કરનારાં બાણો હાથમાં ધારણ કરનારા, અમારાં પુત્ર પૌત્રો, ગાયો, અને અશ્વોની રક્ષા કરજો. સર્પો અને વ્યાઘ્રોને ભગાડનારા હે રુદ્ર, અમારું અધઃપતન કરાવે તેવી રાક્ષસી શક્તિઓનો નાશ કરજો. તમારા તુણીરમાં પડેલાં, શત્રુઓને મારવામાં પ્રગલ્ભ એવાં તમારાં બાણોને નમસ્કાર, સોનાવર્ણી ભુજાઓ વાળા સેનાનાયક, હે દિશાઓના સ્વામી તને નમસ્કાર. લીલા કેશ વાળાં વૃક્ષોને નમસ્કાર, પશુઓના સ્વામીને નમસ્કાર. માર્ગોના સ્વામી, યજ્ઞોપવિત ધારણ કરનારા, સુપોષિત જીવોના સ્વામીને નમસ્કાર. ઉત્તમ અશ્વ પર આરૂઢ થઇ શત્રુઓને વીંધી નાંખવા વાળાને નમસ્કાર.
વિવિધ પ્રકારનાં અન્ન પૂરાં પાડનારાને નમસ્કાર. સમાજના આયુધરૂપ એવા રૌદ્ર યોદ્ધાને નમસ્કાર, લોકોના સ્વામીને નમસ્કાર. કોઈને ન મારવા વાળા સારથિને નમસ્કાર, વનોના સ્વામીને નમસ્કાર. લોહિત વર્ણ વાળા, સ્થપતિ એવા વૃક્ષોના સ્વામીને નમસ્કાર. ભુવનનો વિસ્તાર કરવા વાળા ઔષધીઓના સ્વામીને નમસ્કાર. મન્ત્રીને નમસ્કાર, વ્યાપારીને નમસ્કાર. [ચતુરંગિણી સેનાની] સર્વ કક્ષાઓના સ્વામીને નમસ્કાર. ઊંચા સાદે ત્રાડ નાંખનારા અને શત્રુઓને રડાવનારા, રૌદ્ર સ્વરૂપ યોદ્ધા તને નમસ્કાર. ધનુષની પ્રત્યંચા પૂરેપૂરી ખેંચીને દોડતા એવા સત્વોના સ્વામી, શરણાગતનું પાલન કરનારા, બધી રીતે પ્રહાર કરનારી સેનાઓના સ્વામીને નમસ્કાર. ઉઘાડી તલવાર ધારણ કરી રાત્રિઓમાં વિચરણ કરતા રહી અમારી રક્ષા કરનારા યોદ્ધાઓને નમસ્કાર. માથે પાઘ બાંધનારા, પર્વતોમાં વિચરણ કરનારા…
સૂતેલા યોદ્ધાઓને, જાગતા યોદ્ધાઓને, બેસેલા યોદ્ધાઓને, સ્થિર યોદ્ધાઓને, દોડતા યોદ્ધાઓને, સભાને, સભાપતિને, અશ્વોને, અશ્વપતિઓને, સેવકોના સમૂહની સ્વામિનીઓને, શત્રુઓને મારવામાં સમર્થ એવી રૌદ્ર નારીઓને, ગણોને, ગણોના સ્વામીઓને, અનેક જાતિઓના સમૂહોને, તે સમૂહોના સ્વામીઓને, મેધાવીઓને, નિકૃષ્ટ રૂપ વાળા રુદ્રોને, સેનાને, સેનાપતિઓને, રથ પર આરૂઢ, તેમજ રથ વિના લડવા વાળા, વિશાળકાય, તેમજ લઘુકાય યોદ્ધાઓને, રથ નિર્માણ કરનારા સુથારોને, કુમ્ભારોને, લુહારોને, વનવાસીઓને, પક્ષીઓ પકડનારાઓને, કુતરા પાળનારાઓને, મૃગયા કરનારાઓને, પશુઓનું પાલન કરનારાઓને, જટા ધારણ કરનારાઓને, છૂટા કેશ રાખનારાઓને, વૃદ્ધ યોદ્ધાઓને, જે હજુ વિકસી રહ્યા છે તે યોદ્ધાઓને, અત્યન્ત સ્ફૂર્તિ અને શીઘ્રતાથી સહુથી આગળ ધસી જનારા યોદ્ધાઓને, નદીઓના કાંઠા પર અને ટાપુઓ પર વસનારાઓને, અત્યન્ત ત્વરાથી સેનાઓને સંચાલિત કરી શકનારાઓને, રથોને શીઘ્રતાથી દોડાવનારાઓને, શૂરોને, શિરસ્ત્રાણ ધારણ કરવા વાળાઓને, કવચ ધારણ કરનારાઓને, વર્મ્મ (આખા શરીરને આવરી લેતું કવચ) ધારણ કરનારાઓને, દુન્દુભિનાદ કરનારાઓને, તેના પર તાલ ઠોકતી દાંડીઓને, ઉગ્ર અને ભયંકર એવા પોતાની સામે આવનારને, અને દૂર રહેલાને પણ હણી શકનારા યોદ્ધાઓને, અને સ્વયં પણ હણાવા સજ્જ છે તેવા યોદ્ધાઓને વારંવાર નમસ્કાર કર્યા છે ઋષિઓએ.
રુદ્રાષ્ટાધ્યાયીનો પાંચમો અધ્યાય ભલે ભગવાન શિવની આરાધનામાં ઉપયોગમાં લેવાય છે, પણ વાસ્તવમાં તે આપણે દિવાળી ઉજવી શકીયે માટે શત્રુ સાથે લોહીભીની હોળી રમનારા યોદ્ધાઓને સમર્પિત અધ્યાય છે. એટલે જ એનું એક નામ છે વીરપ્રશંસા.
પણ મારે વિશેષ ધ્યાન એના એક નાના અંશ પર દોરવું છે. અને તે છે…
नमो निचेरवे परिचरायारण्यानां पतये नमः॥ (સતત ફરતા રહેતા ગુપ્તચરોને નમસ્કાર, વનોના સ્વામીને નમસ્કાર.) અને, नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमः॥ (શત્રુક્ષેત્રમાં લોકોને છેતરનારા, અને છેતરનારાઓને છેતરનારા ચોરોના સ્વામીને નમસ્કાર.
આ ઋચાઓમાં ઋષિ કોની વાત કરી રહ્યા છે તે સમજી જ જાશે મિત્રો.
જી હા. આમાં ગુપ્તચરોની અને સિક્રેટ એજન્ટોની જ વાત છે, જે શત્રુ ક્ષેત્રમાં રહીને શત્રુનાં આયોજનોને ખોરવવા માટે પોતાના અને પોતાના પરિવારના જીવન પર આવી શકનારી આપત્તિ જાણતા હોવા છતાં પોતે હાથમાં લીધેલા અભિયાનને સમર્પિત થઇ જાય છે.
જ્યોતિર્મય હજુ સમજણો થઇ રહ્યો હતો ત્યારે એકવાર પૂછ્યું હતું કે પાપા, કયા વ્યવસાયમાં સહુથી સ્માર્ટ માણસો જાય? ત્યારે ક્ષણભરનો વિલમ્બ કર્યા વિના નીકળી આવેલો ઉત્તર હતો ‘ગુપ્તચરોથી વધુ સ્માર્ટ કોઈ ન હોય બેટા.” થોડી વાર રહીને એમાં એક ઉમેરો કર્યો હતો જાદુગરોનો.
વધુ સમજણો થયા પછી એણે ફરી એ ઉત્તર માટેનું મારું કારણ પૂછ્યું હતું. ત્યારે કારણ આપ્યું હતું કે બેટા, પોતાના મન અને વિચારોને સમ્પૂર્ણ વશમાં રાખી શકે એ જ ગુપ્તચર કે જાદુગર બની શકે. એણે માત્ર અને માત્ર સેલ્ફ ઇનીશિયેટીવ એટલે સ્વયં સ્ફૂરણાથી કામ કરવાનું હોય છે. શું કરવું કે શું ન કરવું એ તેને કહેનાર કોઈ નથી હોતું. સામા માણસના વિચારોને એ વિચાર કરનાર કરતાં પણ વધુ સ્પષ્ટતાથી વાંચી શકે. એ અન્યો પાસે ઇચ્છિત કામ કરાવી શકે, એના મનમાં શું છે તે કઢાવી શકે. પોતાના સાચા અને વિશ્વાસપાત્ર હોવાનો વિશ્વાસ સામેવાળાને અપાવી શકે. એ ભ્રમનું વિશ્વ રચી શકે અને શત્રુને ભ્રમિત કરી શકે. શક્તિ, સ્ફૂર્તિ, સાહસ, વીરતા, નમ્રતા, ચાતુરી, મેધા, અન્તઃસ્ફુરણા આ સહુ ગુણોનો સરવાળો જોઈએ ગુપ્તચર બનવા માટે. એટલે વેદના ઋષિ એમને નમસ્કાર કરે છે તે ઉચિત જ છે.
બ્રિટન જેવા સાવ નાના દેશે અર્ધા વિશ્વ પર શાસન એમ જ નથી કર્યું. ભારતના આટલા રાજાઓને એમ ને એમ જ ડાહ્યા ડમરા નહતા કરીને રાખ્યા. એમની પાસે સાચે જ ઇન્ટેલિજન્ટ કહેવાય તેવી ઇન્ટેલિજન્સ હતી. એમને એજન્ટો નિયુક્ત કરતાં આવડતું હતું. પણ આ એક અલગ જ વિષય છે.
અજિત દોવાલ સાહેબ કેવી રીતે સાત વર્ષ શત્રુક્ષેત્રમાં રહ્યા હતા એ, કે કેવી રીતે ભિન્દરાનવાલેને મળીને ખોટી માહિતી પહોંચાડી હતી એ વાતો આપણે સહુએ સાંભળી છે. આભાર પૂજ્ય નગેન્દ્રવિજય સરનો, કે વિશ્વયુદ્ધની કથાઓ અને મોસાદનાં જાસૂસી મિશનો જેવાં પુસ્તકોના માધ્યમે ગુપ્તચર અભિયાનો કેવાં ક્લિષ્ટ, દુઃસાહસી, અને સંકીર્ણ હોઈ શકે, અને કેવો વિશ્વવ્યાપી તેમનો પ્રભાવ હોઈ શકે તેના વાસ્તવિક ચિત્રને આપણા સુધી લઇ આવ્યા. સુપર સ્પાય રિચાર્ડ સોર્જ, ડસ્કો પોપોવ, અને આપણા વડોદરાની જ દીકરી કહી શકાય એવી યોગી ઇનાયતખાનની મોસ્કોમાં જન્મેલી સુપુત્રી નૂરુન્નિસા, જેની પરાક્રમગાથા પર ધ સ્પાય પ્રિન્સેસ પુસ્તક લખાયું છે. આત્મહત્યા કરે તો એનું અહિંસાનું વ્રત ભંગ થાય, એટલે એ પોતાની સાથે શત્રુક્ષેત્રમાં સાઇનાઇડની કેપ્સ્યુલ પણ ન લઇ ગઈ, કે ન લઇ ગઈ એની રિવોલ્વરમાં ભરવા માટે બુલેટો. છતાં ફ્રાન્સની ભૂમિ પરથી એવી કેટલીય ઉપયોગી માહિતીઓ બ્રિટન પહોંચાડી હતી કે જેના પરિણામે નોર્મન્ડી એટેક શક્ય બન્યો હતો. એક ઈર્ષાળુ ડબલ એજન્ટે એને પકડાવી દીધી. પારાવાર ઈન્ટેરોગેશન છતાં પણ નાત્ઝીઓ એનું મોઢું નહતા ખોલાવી શક્યા. અન્તે અકળાઈને એક જણે એના કપાળમાં બુલેટ ફાયર કરી એને વીરગતિ આપી હતી.
નેતાજીની આઝાદ હિન્દ સેનાનું પણ એક ગુપ્તચર તન્ત્ર હતું જેના અધ્યક્ષ હતા વ્યવસાયે ડોક્ટર એવા પવિત્રમોહન રાય. પણ એમનાં પરાક્રમોની ગાથાઓ સહેતુક ગુપ્ત રાખવામાં આવી. ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ પછી નેતાજી સાથે સમ્પર્કમાં કદાચ ડૉ. રાય જ હતા જે કુમ્ભમેળા જેવા ધાર્મિક સમારોહોમાં તેમને મળી જતા (એ ડૉ. પવિત્રમોહન રાયને અમેરિકા કે બ્રિટનની સેના નહતી પકડી શકી, એ સિંગાપુરમાં જવાહરલાલ નહેરુને એમના હોટલના રૂમમાં અત્યન્ત ગુપ્ત રીતે મળીને આવ્યા પછી દસ જ મિનિટમાં એરેસ્ટ થઇ ગયા હતા એ શું યોગાનુયોગ જ હશે હેં!) સ્વયં નેતાજીનું ગુપ્ત વેશે ભારતમાં ભ્રમણ અને અયોધ્યામાં ગુપ્તવાસ ગુપ્તચરોના ઇતિહાસમાં એક સ્વતન્ત્ર પ્રકરણ થઇ ચુક્યાં છે. આપણા દેશની રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગ અને એના સ્થાપક શ્રી રામેશ્વર કાવ સાહેબ વિષે આપણને સહુને અછડતી માહિતી છે. કાવ સાહેબને પ્રત્યક્ષ જોવા પામેલાં એક સીનિયર પત્રકાર મહોદયાએ કહ્યું હતું કે એમની આપણા પર પડતી દૃષ્ટિ માત્ર આપણને થથરાવી દેવા પૂરતી હતી. સ્વયં છત્રપતિ શિવાજી પણ એવા જ હતા ને! એમને મળવા ગયેલા એક બ્રિટિશ વ્યાપારીએ બ્રિટન મોકલેલા એના પત્રમાં લખ્યું હતું કે “હું એ માણસની આંખમાં આંખ નહતો મેળવી શકતો કારણ કે હું જાણતો હતો કે એ મને અન્તર્બાહ્ય આખે આખો વાંચી રહ્યા છે.” અને માટે જ મોસાદના હેડક્વાર્ટરમાં છત્રપતિ શિવાજીના બસ્ટને માનભર્યું સ્થાન આપવામાં આવ્યું છે.
અરે એક સમય હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સ્વનિયુક્ત પ્રોએક્ટિવ ગુપ્તચરો થઈને સંવેદનશીલ માહિતીઓ સુરક્ષા એજન્સીઓને પહોંચાડતા. સ્વાતંત્ર્ય પછી દસમી સપ્ટેમ્બરે મુસ્લિમોએ દિલ્હીમાં ડાયરેક્ટ એક્શન ડે જેવી હિંસા આચરી, અરાજકતા સર્જીને સરકારને ઉથલાવવાનું કાવતરું કર્યું હતું તેની તૈયારીઓની રજેરજની માહિતી સ્વયંસેવકોએ સીધી વલ્લભભાઈ પટેલને જ પહોંચાડી હતી. તે માહિતી સાચી હોવાની ખાતરી કર્યા પછી નહેરુએ જ સિમલામાં આરામ કરી રહેલા માઉન્ટબેટનને તાત્કાલિક દિલ્હી પાછા આવી જવા વી.પી. મેનન પાસે કોલ કરાવીને વિનતી કરી હતી. દિલ્હી પોલીસમાં ત્યારે સિત્તેર ટકા મુસ્લિમો હતા. એનો અર્થ શું થાય તે હવે સહુ જાણતા હતા. ક્યાં ક્યાં શસ્ત્રો જમા કરેલાં છે તેની વિગતવાર યાદી સંઘના સ્વયંસેવકોએ પોલીસને આપી પછી તાત્કાલિક દિલ્હીમાં સૈન્ય બોલાવી એ સ્થળોએ રેડ પડાવી એ ભયાનક કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું હતું.
મારા એક મિત્ર એક સમયે કર્તવ્ય સમજીને પોતાની રુચિને પોષવા પોતાનાથી બનતા સ્તરે આ કામ કરતા. શાકવાળો કે ભંગારવાળો થઈને માહિતી ભેગી કરવી, લોકો સાથે જુગાર રમવા બેસવું, દારૂ પીવા બેસવું, ઝઘડવું, ભીખ માંગવી, માર ખાવો, ઇલેક્ટ્રિક, પ્લમ્બીંગ, સુથારકામ, રસોઈ, કાંઈ પણ કરવાનું નિમિત્ત લઇ એકવાર ઘરમાં પ્રવેશી જવું, દારૂ કે ડ્રગ લાવી દેવાં, છોકરીઓ લાવી દેવી, અને પછી જે તે વ્યક્તિ વિરુદ્ધ ક્યાં ક્યાંથી પુરાવા મળી શકશે એ માહિતી જ્યાં પહોંચવી જોઈએ તે પહોંચાડી દેવાની. આ બધું એણે કરેલું છે. એક મિત્ર વર્ષો સુધી જેહાદી નેટવર્કમાં રહ્યો છે ત્યારે તેણે ગોમાંસભક્ષણનું પાપ પણ હસતાં હસતાં કરેલું છે અને શુક્રવારની નમાજ પછી રમખાણે ચડેલા ટોળામાં ભળીને દુકાનોનાં શટરો ય તોડેલાં છે અને આગ પણ લગાડેલી છે. ગુપ્તચર બનવું સહેલું નથી મિત્રો. (એ મિત્રએ કહ્યું હતું કે રાજકારણીઓ માત્ર આડા પણ ન આવે તો કૌભાંડો તો દૂર, મન્દિરના ઓટલેથી ચપ્પલ પણ ન ચોરાય એટલું સક્ષમ છે આપણું પોલીસ તન્ત્ર.)
પણ મિત્રો, આપણા દેશનું એક દુર્ભાગ્ય પણ છે. એ છે સ્ટોકહોમ સિન્ડ્રોમ. એટલે કે શત્રુના વ્હાલા થવા પોતાના સ્વજનોના શત્રુ થઇ જવું તે. અન્તર્મનમાં ઘર કરી ગયેલો કોઈ અગમ્ય ભય એનું કારણ હોય છે. અને આવા સ્ટોકહોમ સિન્ડ્રોમનો ભોગ બનેલા આપણા અમુક નેતાઓએ વિદેશની ધરતી પર ખરેખર માથા સાટેનો ખેલ ખેલતા આપણા ભડવીર ગુપ્તચરોની પીઠમાં જીવલેણ ખંજર મારેલાં છે. માલેગાંવમાં બૉમ્બ વિસ્ફોટ કરવાના ષડ્યન્ત્રમાં ધરાર હિન્દુઓને દોષી પુરવાર કરવા કર્નલ પ્રસાદ શ્રીકાન્ત પુરોહિત જેવા ગુપ્તચરોના ગુરુને પણ કોંગ્રેસી સ્વાર્થે કેવા ભરાવી દીધા હતા!
પહેલું નામ મોરારજી દેસાઈનું. ઇન્દિરાએ રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગનો ઉપયોગ પોતાની સ્વાર્થી સત્તાભૂખની સેવામાં કર્યો હતો. એના કારણે વિરોધપક્ષના અનેક અનેક નેતાઓને પારાવાર યાતનાઓ વેઠવી પડી હતી. સત્તામાં આવતાં જ મોરારજીએ રામેશ્વર કાવ સાહેબને બોલાવ્યા અને એમની વીંગે ઇન્દિરાને શું શું માહિતી આપી હતી તે જાણવા માંગ્યું. કાવ સાહેબે ના કહી, કે એ એમની નીતિઓને સુસંગત નથી માટે નહીં કહી શકે. એટલે રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગને પાઠ ભણાવવાનો અવસર શોધતા મોરારજીને એક અવસર મળી પણ ગયો, અને એણે સીધા જનરલ ઝિયા ઉલ હકને જ કોલ કરી સંકેતથી જણાવી દીધું કે અમારા માણસો તારા દેશમાં આવા આવા સ્થાનોએ સક્રિય છે. એ બધા જ એજન્ટો શત્રુના હાથે દારુણ પીડા વેઠીને મોત માંગતા માંગતા મર્યા. રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગનું વર્ષોની તપસ્યા કરીને પાકિસ્તાનમાં ગોઠવેલું નેટવર્ક એક ફોન કોલથી વિખાઈ ગયું.
બીજો ઇન્દરકુમાર ગુજરાલ – મોટો વામપન્થી. એ જયારે પ્રધાનમન્ત્રી હતો ત્યારે ગુજરાલ ડોક્ટ્રાઇન રૂપે ક્લીનર એન્ડ સોફ્ટર ફોરેન પોલિસીના નામે રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગને પાકિસ્તાનમાંની ગુપ્ત કાર્યવાહીઓ અટકાવી દેવા કહ્યું. ફંડ અટકાવી દીધું, અને પાકિસ્તાનમાં કામ કરી રહેલા આપણા એજન્ટોની માહિતી પોતાના પરિચયમાં હતા એવા પાકિસ્તાન સિવિલ સર્વિસના અધિકારીઓને જણાવી દીધી. અનેક અનેક એજન્ટો સપડાઈ ગયા અને દુર્ગતિ ભોગવી મર્યા. ભારતીય ગુપ્તચર વિનાના પાકિસ્તાનમાં શું થઇ રહ્યું હતું તેની માહિતી એ પછી વર્ષો સુધી નહતી મળી અને એનો જ લાભ લઈને પાકિસ્તાને નિર્ભય થઈને કારગિલ પર ચડાઈ કરવાની યોજના શાન્તિથી રચી હતી. આમ પણ કેજીબીના ભૂતપૂર્વ અધિકારી વસીલી મિત્રોખિને તો કહ્યું જ હતું ને, કે ઇન્દિરાના મન્ત્રીમંડળમાંના કેટલા ય મન્ત્રીઓ કેજીબીના પે-રોલ પર હતા. ગુજરાલ એમાંનો જ એક હશે એના વિષે કોઈ શંકા નથી.
ત્રીજો હમીદ અન્સારી. એ પણ ઈરાનમાં ભારતનો રાજદૂત હતો ત્યારે એના દીકરાને ઇરાનના એક ઉચ્ચાધિકારીની દીકરીએ લપેટી લીધો હતો. એની ય કથા તો લાંબી થાય, પણ સંક્ષિપ્તમાં કહીયે તો ભારતમાં ઈરાનની ગુપ્તચર એજન્સી સવાકના એજન્ટો ક્યાં ક્યાં પથરાયા છે એ પાકી માહિતી મળી હોવા છતાં ભારત સરકારને જાણ નહતી કરી. કશ્મીરના જેહાદીઓ ભણવાના બહાને ઈરાનમાં આવી આતંકની શિક્ષા લઇ રહ્યા હતા તેમના પર ભારતીય ગુપ્તચરોનું ધ્યાન હતું જ. પણ આ નીચ અન્સારીએ તે ગુપ્તચરોનાં નામ ઈરાનના વિદેશ વિભાગને જણાવી દીધાં હતાં. અને આવું તો બીજું શું શું નહીં કર્યું હોય આ માણસે!
અને ચોથા આપણા કેમ્બ્રિજ એજ્યુકેટેડ પ્રાઈમ મિનિસ્ટર મૌનમોહનસિંહ. જેમણે શર્મ અલ શેખમાં પાકિસ્તાન સાથે મન્ત્રણામાં કોણ જાણે કયા દબાણમાં આવીને બોલી નાંખ્યું હતું કે “મને પણ અમારી ગુપ્તચર સંસ્થાઓ જે રીતે બલુચિસ્તાનમાં કામો કરી રહી છે તે નથી ગમતું.” આ એક વાક્યના આધારે પાકિસ્તાનને કશ્મીરમાં પોતે જે કરે છે તેને ન્યાયસંગત પુરવાર કરવાનું મોટું કારણ મળી ગયું હતું, અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગમાં મોટી હતાશા ફરી વળી હતી. એક વાક્ય દેશને કેટલાં વર્ષો પાછળ ધકેલી દે છે એ તે બબુચકને ભાન નહીં હોય શું! છેક સ્વાતંત્ર્ય પછી, કે જયારે બલુચિસ્તાનના એક પ્રદેશ કલાતના શાસક ખાન ઓફ કલાતને ભારતમાં ભળવું હતું પણ નહેરુએ તે થવા ન દીધું (આ વીપી મેનને કહેલી વાત છે.) ત્યારથી પાકિસ્તાનથી સ્વતન્ત્ર થવા માટે બલુચીઓ મથી રહ્યા છે. તેમાં મોડે મોડે આપણા ભાઈઓએ સહાય આપવાની શરુ કરી એ પણ સોનિયાના આ પાળેલા શ્વાને ઉઘાડું પાડી દીધું હતું. એણે હસ્તાક્ષર કરી બલુચીઓના સ્વાતન્ત્ર્યના પ્રયત્નો આતંકવાદ છે તેમ સ્વીકારી લીધું હતું.
ગુપ્તચરો કેટલા પણ સક્ષમ, કે સમર્થ હોય, પોતાના દેશના નેતૃત્વની ઉપરવટ નથી જ જઈ શકતા. એમનું કામ ઉપયોગી માહિતી શોધી લાવીને સુરક્ષા એજન્સીઓ, દેશનાં દૂરગામી વ્યાપારી હિતો, અને સેનાનું કામ સરળ કરવાનું છે. દેશને શત્રુઓનાં આક્રમણોની આગોતરી માહિતી આપવાનું છે. તેમને નેતૃત્વનું દૃઢ સમર્થન આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. ઇન્દિરા ગાંધીએ સમર્થનનું અભયવચન આપ્યું (કારણ, કે તેને કેજીબીનું અભયવચન હતું) ત્યારે રામેશ્વર કાવ અને તેમના ગુપ્તચરો સિક્કિમને અમેરિકાના ખોળામાં પડતું અટકાવી ભારતમાં ભેળવી શક્યા હતા.
અને એવું જ બન્યું છે 2014 પછી. અજ્ઞાત બંદૂકધારીઓ એમ જ નથી પ્રગટ થવા લાગ્યા.
અને હા. સિક્કિમની વાત નીકળી છે તો સ્મરણ કરાવી દઉં કે હોપ ગુડ નામે એક અમેરિકન ગુપ્તચર મહિલાએ સિક્કિમના રાજકુમારને પ્રેમજાળમાં ફસાવ્યો હતો, બે બાળકોની મા પણ બની હતી, અને સિક્કિમને અમેરિકાનું સ્ટેશન બનાવવા પર્યાપ્ત વાતાવરણ ગોઠવી આપ્યું હતું. પણ ભલું થાજો રામેશ્વર કાવ સરનું, કે એમના ‘કાવબોયસએ’ એ કાવતરું પાર ન પડવા દીધું.
એવી જ એક ગોરી મહિલા ભારતના સર્વોચ્ચ નેતૃત્વમાં સંકળાયેલા પરિવારમાં પ્લાન્ટ કરી દેવામાં આવી હતી. ઉં……હુ. તમે વિચાર્યું એની વાત નથી કરી રહ્યો. ભલે એ પણ એ જ છે એ જગ જાણે જ છે. પણ હું વાત કરું છું તે એનાથી ઘણી પહેલાંની છે મિત્રો. એની વાત અન્ય કોઈ અવસરે.
અત્યારે તો ખ્યાતિ, કીર્તિ, કે પ્રસિદ્ધિની લાલસા વિના માત્ર કાર્યસિદ્ધિ માટે જીવતા, લડતા, અને મરતા ગુપ્તચરો માટે એ જ કહેવા મન થાય છે, કે…
અબ તેરી હિમ્મત કી ચર્ચા ગૈર કી મહફિલ મેં હૈ…
॥ ૐ नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमः॥