આ ૧૯૬૩/૬૪ની ઘટના છે. તે સમયે શ્રી મોહન મંગેશ ખટાવ નામના વ્યક્તિ નેવીમાં હતા. વીર સાવરકરે લખેલ “માઝી જન્મઠેપ” નામનું પુસ્તક વાંચ્યા પછી તેઓ તે જેલમાં ગયા જ્યાં વીર સાવરકરને કેદ કરવામાં આવ્યા હતા. મોહનભાઈ તે અંદામાન સેન્ટ્રલ જેલમાં ગયા, જ્યાં સાવરકરને કેદ રાખવામાં આવ્યા હતા. તે સેલમાં જઈને તેઓ ખૂબ રડ્યા. “આપણા સ્વાતંત્ર્યવીરોએ કેટલું દુઃખ અને કઠિનાઈઓ સહન કરી છે” એ વિચાર કરીને તેઓ ખૂબ વ્યથિત થયા. તેમને વિચાર આવ્યો કે સાવરકરજીના દર્શન કરવા જોઈએ.
અંદામાનથી તેઓ મુંબઈ આવ્યા અને પછી રત્નાગિરી પહોંચી સાવરકરના ઘરે ગયા. એ ૧૯૬૪નું વર્ષ હતું. સાવરકર તબિયતમાં ખૂબ નબળા હતા. તેમના પગમાં માથું મૂકી તેઓ ખૂબ રડ્યા. કહ્યું, “તાત્યા, તમે આપણારે માટે કેટલી યાતનાઓ સહન કરી, તમારી માતૃભૂમિ માટે કેટલા કેટલા અમાનુષિક જુલમ અને અત્યાચાર ખમ્યા?”
સાવરકર કંઈ પણ કહેવાની સ્થિતિમાં ન હતા, તબિયત એટલી નાજુક હતી.
મોહનભાઈ પાસે ભગવદ્ગીતાનું પુસ્તક હતું. તેના પર તેઓએ સાવરકરના હસ્તાક્ષર માંગ્યા, પરંતુ નબળાઈના કારણે સાવરકર હસ્તાક્ષર કરી શકતા ન હતા. તેમણે માઈ સાવરકરને હસ્તાક્ષર કરવા બોલાવ્યાં. અને મોહનભાઈને કહ્યું, “જો તમને ભગવદ્ગીતાનો સાચો અર્થ જાણવાની ઇચ્છા છે, તો પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચન સાંભળવા જાઓ.”
અને મોહનભાઈ સ્વાધ્યાયમાં જોડાયા. આજે ૮૦ વર્ષની ઉંમરે પણ તેઓ સક્રિય છે.
સાવરકરની આ વાત તેમણે “અભિ ગીતા સંધાન”ની ભાવફેરી દરમિયાન જણાવી છે.