Rohit Patel:
એક વ્યક્તિએ વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ થયા પછી એક જમીન લેવાનો વિચાર કર્યો જ્યાં તેનો પરિવાર જઈને વીકેન્ડમાં આનંદ માણી શકે. તેના માટે ઘણી જમીનોની તપાસ કરી ઘણી વાડી પણ જોઈ અંતે એક જમીન તેને ખૂબ જ પસંદ આવી ગઈ કારણ કે તેના મનમાં એવી ઇચ્છા હતી કે જમીન એવી લેવી છે જ્યાં પહેલેથી આંબા રહેલા હોય, અને સદ્ભાગ્યે તેને એક જમીન ખૂબ જ પસંદ આવી. એ સમયમાં 80 વર્ષ જૂના આંબા વાવેલા હતા અને ખાસ કરીને તેની પત્ની તેમજ બાળકોને કેરી ખૂબ જ વહાલી હતી.
જમીન લીધા પછી તેને જમીન પર બાંધકામ કરવાનો નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે તે એક weekend house જેવું બનાવશે. એટલે સામાન્ય રીતે તેના મિત્રને ભેગો થતો ત્યારે આ બધા વિશે વાત કરી તો એક મિત્રે તેને સલાહ આપી કે કોઈપણ બાંધકામ કરતા પહેલા વાસ્તુશાસ્ત્રી ની સલાહ લઇ લેવી જોઈએ, પરંતુ એ વ્યક્તિ વાસ્તુશાસ્ત્રમાં જરા પણ માનતો નહીં તેમ છતાં મિત્રના કહેવા પ્રમાણે તેને કહ્યું વાંધો નહીં તો આપણે વાસ્તુશાસ્ત્રી ની સલાહ લઈને પછી બાંધકામ આગળ કરીશું.
એક મિત્રએ સલાહ આપી કે એક જાણીતા વાસ્તુશાસ્ત્રી છે જે મુંબઈમાં રહે છે અને વર્ષોથી વાસ્તુશાસ્ત્ર માં ખૂબ જ પ્રસિદ્ધ માનવામાં આવે છે. આર્થિક રીતે કોઈ પ્રકારની ખામી ન હોવાથી તે વાસ્તુશાસ્ત્રી ને બોલાવી લીધા, વાસ્તુશાસ્ત્રી ના નિષ્ણાંત ને બધા મહારાજ કહીને જ બોલાવતા.
મુંબઈથી તેઓ પ્લેનમાં આવવાના હતા ત્યાર પછી એરપોર્ટ થી તેઓને પીક અપ કરીને જમીન જોવા જવાના હતા. આ વ્યક્તિ પાસે ડ્રાઈવર પણ રાખેલો હતો પણ મહારાજ પોતે આવવાના હતા એટલે એને તેડવા માટે તે વ્યક્તિ પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને એરપોર્ટ પર ગયા અને તેને તેડીને જમીન જોવા માટે રવાના થયા.
થોડા સમય પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે શહેરમાં જમી લીધું અને કારમાં ફરી પાછા તે વ્યક્તિ અને મહારાજ બંને જમીન તરફ આગળ વધ્યા. રસ્તામાં તેઓ ની બાજુ માંથી કોઈપણ કાર નીકળે અને તેને ઓવરટેક કરવાની કોશિશ કરે તો તે વ્યક્તિ તેને ઓવરટેક કરવા માટે તરત જ રસ્તો આપી દેતા. આવું એક બે નહીં પરંતુ ઘણી વખત બન્યું એટલે મહારાજ આ જોઈને જરા હસ્યા અને કહ્યું તમે તો ખૂબ જ સુરક્ષિત રીતે કાર ચલાવી રહ્યા છો.
એટલે તે વ્યક્તિએ હસતાં હસતાં જવાબ આપ્યો કે લોકો હંમેશા ત્યારે જ ઓવરટેક કરે છે જ્યારે તેમને કોઈ અત્યંત જરૂરી કાર્ય હોય તો આપણે તેઓને રસ્તો આપવો જોઈએ.
ધીમે ધીમે શહેરનો હાઈવે પૂરો થયો અને જમીન તરફ જવા માટેનો રસ્તો થોડો સાંકડો થતો ગયો તેમજ વચ્ચે ગામડું પણ આવતું હતું એટલે પહેલાં કરતાં પણ થોડી કારની સ્પીડ ધીમી કરી નાખી. ત્યારે જ એક ગામડાની ગલીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક શેરી માંથી છોકરો ખિલખિલાટ હસતો હસતો ખૂબ જ ઝડપથી કાર આગળ થી રસ્તો ક્રોસ કરીને જતો રહ્યો. એટલે પેલા વ્યક્તિએ કાર થોડી વધુ ધીમી પડી અને તે જે શેરીમાંથી નીકળ્યો હતો તે શેરી તરફ જોવા લાગ્યા.
અચાનક જ એ જ શેરીમાંથી બીજો એક છોકરો નીકળ્યો અને ગાડી પહેલેથી જ ધીમી હોવાથી તે ગાડીની આગળ થી રસ્તો ક્રોસ કરીને જતો રહ્યો. પરંતુ પહેલા વ્યક્તિ એ શેરી તરફ એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તેઓને ખબર હતી કે ત્યાંથી કોઈ આવવાનું છે.
મહારાજે આશ્ચર્યચકિત થઇ ને પૂછ્યું ભાઈ તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો
પણ ત્યાંથી જ દોડતો દોડતો નીકળશે? એણે ખૂબ જ સહજ ભાવે જવાબ આપ્યો કે નાનપણમાં બાળકોનું આવું જ છે એકબીજાની પાછળ દોડતાં જ રહેતા હોય છે અને પેલો છોકરો જે ખિલખિલાટ કરીને હસતો હસતો જઈ રહ્યો હતો એ ઉપરથી જ મને લાગ્યું કે આ નક્કી કોઈ બીજા બાળકો ભેગો રમતો હશે અને તેનાથી ભાગતો હશે અને સાચે જ પીછો કરતો છોકરો પાછળ આવ્યો પણ ખરો.
મહારાજ આ વાત સાંભળીને ફરી પાછા હસવા લાગ્યા અને કહ્યુ ભાઈ તમે અત્યંત સમજદાર વ્યક્તિ છો. તમને જીવન નું ઘણું જ્ઞાન છે. આવી સમજદારી એ ઘણી સારી વાત છે.
હજુ પહેલા વ્યક્તિ અને મહારાજ બંને જમીન સુધી પહોંચે અને જમીન સામે દેખાઈ રહી હતી. એટલે ત્યાં જમીનની બહાર ગાડી ઉભી રાખી કે તરત જ અંદરથી ઝાડપાન ખખડવાનો અવાજ આવી રહ્યો હતો.
એટલે તે વ્યક્તિએ મહારાજને કહ્યું મહારાજ આપણે થોડા સમય સુધી અહીં રોકાઈ જઈએ તો તમને કોઈ વાંધો નથી ને? મહારાજ તેને પૂછ્યું કેમ કશું કારણ? તે વ્યક્તિ એક જ જવાબ આપ્યો કે અંદરથી જે અવાજ આવી રહ્યો છે એ લગભગ બાળકોનો છે એ બાળકો બધા અહીં આંબાપર આવેલી કેરી ચોરતા હશે, જો આપણે અચાનક જ અંદર જઈશું તો ગભરાઈને તે લોકો આમતેમ જવાની ભાગવાની કોશિશ કરશે. એમાંથી જો કોઈ પડી જશે તો બિચારા બાળકને ઈજા થઈ જશે.
થોડા સમય સુધી મહારાજ કશું ન બોલ્યા, થોડા સમય પછી તે પહેલા વ્યક્તિ ને કહ્યું ભાઈ તમને એક વાત કહેવા માગું છું આ જમીન ઉપર એક પણ પ્રકારનો વાસ્તુ દોષ નથી અને આના નિવારણ માટે પણ કશું કરવાની કોઈ જ પ્રકાર ની જરૂર નથી.
જમીનને જોયા પહેલાં જ મહારાજ આવું બોલ્યા એટલે પેલા વ્યક્તિએ પૂછ્યું પણ મહારાજ તમે તો હજુ જમીન પણ નથી જોઈ, અને આવું કેમ?
મહારાજ ફરી પાછા હસી પડ્યા અને કહ્યું જ્યાં તમારા જેવા લોકો રહેતા હોય જે માત્ર ને માત્ર બીજા લોકોની ભલાઈ માટે વિચારતાં રહેતા હોય, એ સ્થાન વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર ગણાય, એ સ્થાન કાયમ માટે સુખ આપનારું અને ફળદાયી જ રહે છે.
જ્યારે આપણું મન બીજાની ખુશી અને શાંતિ ને પ્રાથમિકતા આપવા લાગે તો એનાથી બીજાને તો મળે જ છે પરંતુ આપણને પોતાને પણ માનસિક શાંતિ તેમ જ પ્રસન્નતા મળે છે.
જો કોઈ વ્યક્તિ કાયમ પોતાનાથી પહેલા બીજાનું વિચારવા લાગે તો ખરેખર તેનામા એ પ્રકારની સમજદારી આવી જાય છે કે જાણે તેને સંતત્વ પ્રાપ્ત કરી લીધું હોય.