વલ્લભભાઈએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પ્લીડર બન્યા ત્યારે એમના મોટાભાઈ બોરસદમાં ડિસ્ટ્રિક્ટ પ્લીડર તરીકે કામ કરતા હતા. મોટાભાઈ વિઠ્ઠલભાઈની સાથે રહીને બોરસદમાં કામ કરવાને બદલે વતનથી દૂર ગોધરામાં પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. પત્ની ઝવેરબાને સાથે લઈને ગોધરા રહેવા માટે આવી ગયા અને અહીં જ વકીલાત શરૂ કરી દીધી હતી. કોઈ જાતની વિશેષ સુવિધા પણ નહોતી. માંડ માંડ થોડી જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરીને કામના શ્રીગણેશ કર્યા.
આ અરસામાં ગોધરામાં પ્લેગ ફાટી નીકળ્યો. વલ્લભભાઈના રામજીભાઈ નામના એક મિત્રને પ્લેગનો રોગ લાગુ પડ્યો. પ્લેગ ચેપીરોગ હોવાથી પરિવારના સભ્યો પણ રોગીની સારવારમાં મદદ કરવાને બદલે એનાથી દૂર રહેવાનું પસંદ કરતા; કારણ કે દરેકને પોતાનો જીવ વહાલો હોય. પોતાના મિત્રની સારવાર કરવાની જવાબદારી વલ્લભભાઈએ સંભાળી. પ્લેગગ્રસ્ત મિત્રનું બધું જ કામ કરે. પોતાના કામમાંથી નવરા પડે એટલે તુરત જ આ મિત્ર પાસે દોડી જાય અને એની સારવારમાં લાગી જાય. સગાંવહાલાંઓ પણ જ્યારે અંતર રાખતા હતા, ત્યારે વલ્લભભાઈ એમના આ મિત્રની સારવારમાં ખડેપગે ઊભા હતા સારવારમાં પૂરતું ધ્યાન આપવા છતાં મિત્ર બચી શક્યા નહીં. મિત્રની વિદાયનું દુઃખ હતું એમાં સ્મશાનયાત્રા પૂરી કરીને આવ્યા અને વલ્લભભાઈ પણ બીમાર પડ્યા. લોકોને એમ કે મિત્રના વિયોગની અસર છે, પણ તપાસ કરી તો ખબર પડી કે વલ્લભભાઈને પણ પ્લેગ લાગુ પડ્યો છે. મિત્રની સારવાર દરમિયાન લાગેલા ચેપથી વલ્લભભાઈ પણ ખાટલામાં પટકાયા. પોતાને થયેલા પ્લેગની અસર પત્ની ઝવેરબાને ન થાય એટલા માટે ઝવેરબાને વતનમાં મૂકી આવવાની વાત કરી. ઝવેરબા બહુ સંસ્કારી કુળનાં દીકરી હતાં એટલે બીમાર પતિને એકલા મૂકીને જાય એવાં નહોતાં; પણ વલ્લભભાઈ સરમુખત્યારની જેમ ઝવેરબાને વતન મૂકી આવ્યા અને પોતે એકાંતવાસમાં જતા રહ્યા. સાજા થયા પછી જ પત્ની ઝવેરબાને વતનમાંથી પરત બોલાવ્યાં.
પોતાનો મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે એનો ત્યાગ કરવાના બદલે જીવના જોખમે પણ જે મિત્રની સાથે અડિખમ ઊભો રહે છે, એ જ સાચો મિત્ર છે. જ્યારે દુનિયાના બીજા લોકો કોઈ માણસથી દૂર જતા રહે, ત્યારે એને પરિવારની ખૂબ જરૂર હોય છે. અને પરિવાર પણ જતો રહે, તો જીવનનો એક માત્ર આધાર બાકી રહે છે; અને એ છે મિત્ર.
Unknown
અજ્ઞાત
अज्ञात
