આ તમારો પ્રશ્ન છે.મારે શું લેવાદેવા?*
એક ખેડૂત હતો.એના ઘરમાં ઉંદર આવી ગયો હતો.ખેડૂત ઉંદર પકડવા માટેનું પાંજરું લાવ્યો પણ પાંજરું જોઈને ઉંદર ગભરાઈ ગયો.એને થયું કે ખેડૂત મને પાંજરામાં પુરીને મારી નાખશે. એટલે ઉંદરે તે ઘરની અંદર રહેલા કુકડાની મદદ માંગી કે હે કુકડા, ખેડૂત મારા માટે પાંજરું લાવ્યો છે એટલે તું મને બચવા માટે કંઈક મદદ કર. પરંતુ કુકડાએ કહ્યું કે આ તારો પ્રશ્ન છે હું તને મદદ ના કરી શકું. ત્યારબાદ ઉંદરે તે ખેડૂતના વાડામાં રહેલા બકરાને કહ્યું કે ખેડૂત ઉંદર પકડવાનું પાંજરું લાવ્યો છે. એટલે તું મને મદદ કર અને બચાવ. બગલાએ કહ્યું કે આ તો તારો પ્રશ્ન છે. હું તને કશી મદદ ના કરી શકું.ઉંદર પાછો નિરાશ થઈ ગયો. ત્યારબાદ ઉંદર ગામની બહાર આવેલા તળાવ પાસે ગયો. તળાવમાં ઘણી માછલીઓ હતી. ઉંદરે માછલીઓને કહ્યું કે ખેડૂત ઉંદર પકડવાનું પાંજરુ લાવ્યો છે અને મને પકડી લેશે. તમે મને મદદ કરો. પરંતુ માછલીઓએ કહ્યું કે આ તો તારો પ્રશ્ન છે અમે શું કરીએ?
બધી જગ્યાએ નકારાત્મક જવાબ સાંભળીને ઉંદર નિરાશ થઈ ગયો અને આખરે ઘરે પાછો આવ્યો. હવે બન્યું એવું કે તે દિવસે રાત્રે જ્યારે પાંજરું ઘરમાં મૂકવામાં આવ્યું ત્યારે ઉંદરને ખબર હતી કે પાંજરું મૂકેલું છે એટલે ઉંદર દૂર રહ્યો. પરંતુ તે વખતે એક સાપ અનાજની શોધમાં ઘરમાં આવી ચડ્યો અને ભૂલથી સાપની પૂંછડી પાંજરામાં ફસાઈ ગઈ એટલે સાપ તરફડીયા મારવા માંડ્યો. આ અવાજ સાંભળીને ખેડૂતની પત્ની ત્યાં દોડીને આવી પરંતુ અંધારામાં તેને ખબર નહીં એટલે સાપ પર તેનો પગ આવી ગયો એટલે સાપે ખેડૂતની પત્નીને ડંખ માર્યો એટલે ખેડૂતની પત્ની બેભાન થઈ ગઈ. એ જોઈને તરત જ ખેડૂત દોડી આવ્યો અને તાત્કાલિક એની પત્નીની સારવાર કરવા લાગ્યો. પરંતુ સ્થિતિ ગંભીર હતી એટલે ખેડૂત તેને ડોક્ટર પાસે લઈ ગયો.
ડોક્ટરે ખેડૂતની પત્નીની સારવાર કરી અને કહ્યું કે તમારી પત્નીને મરઘીનો સૂપ બનાવીને પીવડાવવાની જરૂર છે એટલે ઘેર જઈને મરઘીનો સુપ પીવડાવજો. ઘેર જઈને ખેડૂતે પોતાના ઘરમાં રહેલા કુકડાને મારી નાખીને તેનું સૂપ બનાવીને પોતાની પત્નીને પીવડાવ્યું. સૂપ પીવાથી ખેડૂતની પત્ની સાજી થઈ ગઈ. પત્ની સાજી થઈ ગઈ એટલે ખેડૂત અત્યંત ખુશ થઈ ગયો એટલે એણે પોતાના ઘરની અંદર મિજબાની કરવાનું નક્કી કર્યું અને એ માટે પોતાના વાડામાં રહેલા બકરાની પસંદગી કરી. બકરાને હલાલ કરીને ઘરની અંદર મિજબાની કરી. આ સમાચાર ચારેબાજુ વાયુવેગે ફેલાઈ ગયા અને સંબંધીઓને ખબર પડી કે ખેડૂતની પત્નીને સાપ કરડ્યો હતો અને હવે તે સાજી થઈ ગઈ છે એટલે સગા સંબંધીઓ ખેડૂતના ઘરે મળવા આવ્યા. પરંતુ આટલા બધા સગાની સરભરા કેવી રીતે કરવી? એટલે ખેડૂત ગામની બહાર આવેલા તળાવ પાસે ગયો અને ત્યાં જઈ તળાવમાં જાળ નાખીને તળાવમાં રહેતી માછલીઓને પકડીને ઘેર લઈ આવ્યો અને મોટી મિજબાની કરી અને બધા સગા સંબંધીઓને ખુશ કરી રવાના કર્યા.
ઉંદર આ બધો જ તમાશો જોઈ રહ્યો હતો. મૂળ વાત એ છે કે ઉંદરે બધાની પાસે મદદ માંગી. પરંતુ બધાએ એવું જ કહ્યું કે આ તારો પ્રશ્ન છે. અમારે શું લેવાદેવા? પરંતુ જ્યારે કોઈ એક માણસના જીવનમાં પ્રશ્ન થાય છે ત્યારે બીજા માણસો માટે પણ એ પ્રશ્ર્ન જ હોય છે. પરંતુ તેમને સમજાતું નથી.થી આપણી આસપાસ કોઈ દુઃખી ન રહે તે જોવું અને માણસ તરીકે મદદ કરવા તત્પર રહેવું.