જૂનાગઢમાં બાવલા નામનો એક છોકરો હતો. મા બાપ હતા નહીં, બાવલાને એક નાની બેન. બાવલો રોજનું કશુંક કમાઈને લાવે અને ભાઈ બેન રોજ રોજનું ખાય. એક દિવસ કશું કામ ન મળ્યું તો બાવલે વિચાર્યું કે સીમમાંથી લાકડા કાપી લાઉં અને વેંચીશ. પણ ઘરમાંથી દાતરડું કાઢ્યું તો દાતરડું એકદમ બુઠ્ઠું. લુહાર પાસે જઈને બાવલે કહ્યું, ‘મારી પાસે દાંતરડું કકરાવવાના પૈસા નથી. પણ મને જો આની ધાર કકરાવી આપશો તો મારી પાસે પૈસા આવશે ત્યારે તમને આપી દઈશ.’
લુહાર કામ કરી આપ્યું. વાત તો આગળ લાંબી છે…
*પણ કુદરતે જ્યારે ચક્રો ફેરવ્યા ત્યારે આ બાવલો જૂનાગઢનો દિવાન બહાઉદ્દીનભાઈ બન્યો.* અને એક વખત જૂનાગઢની પ્રજા પર બે આના કર વધાર્યો. પ્રજા દિવાનના બંગલા બહાર ભેગી થઈ અને વિરોધ નોંધાવ્યો. દિવાન બહાઉદ્દીન ભાઈ ઝરૂખામાં આવ્યાં અને પ્રજાને કહ્યું કે, “બે આના જ વધારો છે, એટલા કોની પાસે ન હોય?”
ત્યારે પ્રજાના ટોળામાંથી એક અવાજ આવ્યો, “ ન હોય ત્યારે દાતરડું કકરાવવાના પણ ન હોય, બહાઉદ્દીનભાઈ…”
*દીવાને જોયું તો એ અવાજ વૃદ્ધ થઈ ગયેલા પેલા લુહારનો હતો,* જેણે આ બહાઉદ્દીનભાઈ જ્યારે બાવલો હતો ત્યારે વગર પૈસે એનું દાતરડું સજાવી આપેલું.
ન હોય ત્યારે દાતરડું કકરવાના કે પેટ ભરાય એટલા દાળવડાના રૂપિયા પણ ન હોય એવું બને.
*
આજે ગમતા એક્ટર રોનિત રોયનું એક પોડકાસ્ટ સાંભળતો હતો ત્યારે એણે કહ્યું કે, “એક સમય હતો કે મુંબઈમાં એક ઢાબામાં રોજ સાંજે હું જમતો, એક સમય જ જમતો, એમાં એક દિવસ રોટલી અને કાળી દાળ, અને બીજા દિવસે રોટલી અને પાલક પનીર…આ જ ફિક્સ…અને એટલા જ રૂપિયા મારી પાસે રહેતા. પછી એક દિવસ મેં ઢાબામાં જઈને કહ્યું, ‘બે રોટલી અને કાંદા લઈ આવ…’કેમ કે એ દિવસે દાળના પણ રૂપિયા નહોતા. (કાંદાને એમ જ ગરીબોની કસ્તુરી કહેવામાં નથી આવતા. કાંદા ભીડ પડે ત્યારે સૂકા રોટલાને સ્વાદ આપીને ભૂખ ભાંગે છે.) પણ એ માણસ રોટલી, કાંદા જોડે કાળી દાળ પણ લઈ આવ્યો અને બોલ્યો, ‘મારા તરફથી…’…એ માણસનો ચહેરો આજે ત્રીસ વર્ષ બાદ પણ મને એમનો એમ યાદ છે…”
આટલું કહેતા મર્દાના અવાજ અને કડક ચહેરો ધરાવતા રોનિત રોયનો અવાજ અને આંખ ભીની થઈ ગઈ હતી.