Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જીવનસાથીની પસંદગી– જીવનનું સત્ય 🪴🪴🪴

એક યુવકે તેના દાદાને પૂછ્યું, એવું કેમ બને છે કે કોઈ વ્યક્તિ બીજાના પ્રેમમાં પડે, પણ બીજા કોઈ સાથે લગ્ન કરે?
પ્રશ્ન સાંભળીને દાદાએ કહ્યું, “દીકરા, તારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તને એક કામ સોંપીશ. ફૂલોના બગીચામાં જા અને શ્રેષ્ઠ ગુલાબ ચૂંટ અને મારી પાસે લાવ. પરંતુ શરત એ છે કે તારે તે ગુલાબનું ફૂલ એકવાર જોયા પછી જ પસંદ કરવાનું રહેશે. જો તું એકવાર તેને છોડીને આગળ વઘી ગયો, તો પછી તું પાછા જઈને તે ગુલાબનું ફૂલ પસંદ કરી શકીશ નહીં.

યુવાન ફૂલોના બગીચામાં ગયો. ત્યાં તેણે ગુલાબના ફૂલોનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. ઘણા ગુલાબ જોયા પછી તેને એક ખૂબ જ સરસ ગુલાબનું ફૂલ દેખાયું. તેને થયું કે તેને તોડી નાખું, પણ ત્યારે જ તેના મનમાં એક વિચાર આવ્યો કે કદાચ તે આગળ વધશે તો તેને આના કરતા વધુ સારું ફૂલ મળશે. આથી તે તોડ્યા વગર જ આગળ વધ્યો. થોડે દૂર ગયા પછી તેને બીજું સુંદર ગુલાબનું ફૂલ દેખાયું. પણ તેના મનમાં ફરી એ જ વિચાર આવ્યો કે કદાચ તે આગળ જશે તો તેને આના કરતા વધુ સારું ગુલાબનું ફૂલ મળશે અને તે ફરી આગળ વધ્યો.

આ રીતે, આખા બગીચામાં ફરી લીધા પછી પણ, તે એક પણ ગુલાબનું ફૂલ તોડી શક્યો નહીં. બગીચાના છેડે પહોંચીને તેને સમજાયું કે તેણે અગાઉ જોયેલા ગુલાબ વધુ સારા હતા. પરંતુ શરત મુજબ હવે તે પાછો જઈ શકે તેમ ન હતો. તેથી તે તેના દાદા પાસે ખાલી હાથ પાછો ફર્યો. પૂછવા પર તેણે આખી વાત કહી.

દાદાએ કહ્યું, દીકરા, જે ભૂલ તે થોડા સમય પહેલાં બગીચામાં કરી હતી, પ્રેમમાં પડેલા લોકો વાસ્તવિક જીવનમાં પણ એ જ ભૂલ કરે છે. કંઈક સારું શોધવામાં, તેઓ એવી વ્યક્તિને ગુમાવે છે જે તેમનો શ્રેષ્ઠ જીવનસાથી બની શકે એમ હતા.

“તો શું આનો મતલબ એ છે કે ક્યારેય પ્રેમમાં પડવું જોઈએ નહીં?” યુવકે પૂછ્યું.

દાદાએ જવાબ આપ્યો, “ના, એવું નથી. કોઈપણ વ્યક્તિ પ્રેમમાં પડી શકે છે જો તેને યોગ્ય વ્યક્તિ મળે. પરંતુ જ્યારે પણ તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો છો, તો ગુસ્સા, ઘમંડ અને કોઈની સાથે સરખામણી કરીને તેને ક્યારેય ન છોડો.

“પરંતુ, દાદા, એવું કેમ બને છે કે વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેને છોડીને બીજા સાથે લગ્ન કરે છે.”

આ પ્રશ્ન સાંભળીને દાદાએ કહ્યું, “આ જવાબ આપતા પહેલા, હું તને ફરીથી એક કાર્ય સોંપું છું. હવે તું સૂર્યમુખીના બગીચામાં જા અને સૌથી મોટું સૂર્યમુખી ચૂંટ અને મારી પાસે લાવ. પરંતુ આમાં પણ શરત પહેલા જેવી જ છે. તારે સૂર્યમુખીને એકવાર જોયા પછી જ પસંદ કરવાનું રહેશે. એકવાર તું તેને છોડી દઈશ તો આગળ વધ્યા પછી, તું પાછા જઈને તે સૂર્યમુખી પસંદ કરી શકીશ નહીં.

યુવાન સૂર્યમુખીના બગીચામાં ગયો. પણ આ વખતે તે સાવધાન હતો. તેણે પહેલી ભૂલનું પુનરાવર્તન ન કર્યું અને બગીચાની વચ્ચે પહોંચીને એક મધ્યમ કદનું સૂર્યમુખી તોડીને પાછો આવ્યો. પાછા આવીને, તેણે દાદાને કહ્યું કે તેણે તે સૂર્યમુખી કેવી રીતે પસંદ કર્યું.

દાદાએ કહ્યું, “તારા ભૂતકાળના અનુભવને કારણે આ વખતે તું ખાલી હાથે પાછો નથી આવ્યો. તને ઠીક-ઠાક થોડું યોગ્ય કદનું સૂર્યમુખી મળ્યું અને ખાતરી થઈ કે તે શ્રેષ્ઠ છે. વાસ્તવિક જીવનમાં પણ લોકો તેમના જૂના અનુભવમાંથી શીખીને તેમના લગ્ન માટે તેમના જીવનસાથીની પસંદગી કરે છે.

દાદાની વાત સાંભળીને યુવક મૂંઝાઈ ગયો. તેને મૂંઝવણમાં જોઈને દાદાએ પૂછ્યું, “હવે તને શું તકલીફ થાય છે?”

“દાદાજી તમારી વાત સાંભળ્યા પછી, હું વિચારી રહ્યો છું કે શું સારું છે, તમે જેને પ્રેમ કરો છો તેની સાથે લગ્ન કરો કે જેની સાથે તમે લગ્ન કરો છો તેને પ્રેમ કરો?”

“દીકરા, એ તારા પર નિર્ભર છે…” દાદાએ જવાબ આપ્યો.

જીવનમાં આપણે જે પણ પસંદ કરીએ, તેનાથી આપણે ખુશ છીએ કે નહીં, તે સંપૂર્ણપણે આપણા પર નિર્ભર છે, તેથી આપણે સમજદારીપૂર્વક પસંદગી કરવી પડશે, નહીં તો આપણે આખી જીંદગી એ વિચારીને અફસોસ કરીશું કે કાશ મેં કંઈક બીજું પસંદ કર્યું હોત?
પરંતુ એ પણ સાચું છે કે જ્યાં સુધી આપણે આપણી જાત સાથે સાચા અને પ્રમાણિક રહીશું ત્યાં સુધી આપણે કોઈપણ પસંદગીમાં ખોટા હોઈ શકીએ નહીં.

હું માનું છું- “” જે જ્યાં છે ત્યાં ખુશ રહે છે, તે બધે જ ખુશ રહેશે””

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment