ભારતના એપસ્ટિનના પ્રયોગો અને કેટલાક પ્રશ્નો:
૧. ગાંધીએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તો ઈ. સ. ૧૯૦૬માં ૩૮ વર્ષે એટલે કે દાંપત્યજીવન ચોવીસ વર્ષ ભરપૂર માણ્યા પછી (ચાર સંતાનોના પિતા બન્યા પછી) લીધી. તો તેના પ્રયોગો કસ્તૂરબાના અવસાનનાં બે વર્ષ પછી કેમ?
૨. ચાલો, માની લઈએ કે (‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાતમા ગાંધી’ અનુસાર) ગાંધી માનતા હતા કે નોઆખલી હિંસા એ તેમની સંપૂર્ણ બ્રહ્મચારી બનવાની સાથે જોડાયેલી હતી. એટલે કે તેઓ જો સંપૂર્ણ બ્રહ્મચારી હોત તો ઝીણાના કહેવાથી મુસ્લિમો હિંસા ન કરત? (હસવું નથી આવતું આવી દલીલ સાંભળીને?)
આના બે અર્થ થાય: ક. ગાંધીજી બહારના વિશ્વને અને પીતાની અંદરની ઇચ્છાઓને જોડીને જોતા હતા. એટલે કે અહં બ્રહ્માંડાસ્મિ. શું આ વાત સાચી માનવામાં આવે?
(જયવંત પંડ્યા)
ખ. છેક ૧૯૪૬માં તેમને ખબર પડી કે તેઓ પોતાની ‘ઇચ્છાઓ’ પર નિયંત્રણ નથી મેળવી શક્યા એટલે હિંસા થાય છે? તો અગાઉ મોપલા મુસ્લિમો દ્વારા હિંસા, સ્વામી શ્રદ્ધાનંદની હત્યા, ચૌરીચૌરા કાંડ, જલિયાવાલાં બાગ હત્યાકાંડ, વગેરે વખતે તેમનું આ ‘ડહાપણ’ ક્યાં ગયું હતું?
૩. ઈ. સ. ૧૯૦૭માં ‘ઇન્ડિયન ઑપિનિયન’માં ગાંધીએ લખ્યું હતું કે “દરેક ભારતીયની ફરજ છે કે તેણે પરણવું ન જોઈએ. પણ જો તે લગ્નની બાબતમાં વિવશ જ હોય તો તેણે પત્ની સાથે જાતીય સંબંધ ન રાખવો જોઈએ.” આવી ગાંડી સલાહ આપવા પાછળનો ઉદ્દેશ શું? પોતાની સનક થોપવી? કે હિન્દુ લોકોની જનસંખ્યા અટકાવી દેવી? કારણકે મુસ્લિમ સમુદાય તો ગાંધીજીની વાત માનતો નહોતો.
અત્યારે જમણેરી મહાનુભાવ આવી સલાહ આપે તો મોહનદાસને મુરલીધર મોહન સાથે સરખાવી ભગવાન તુલ્ય મૂકીને કલમ ઘસઘસ કરતા અને અન્યથા કાલિદાસથી લઈ ફટાકડામાં બીભત્સ રસ શોધનારા કલમઘસુઓ આવી સલાહ અંગે કેવી કેવી ટીકા કરત?
૪. ગાંધીએ સુચેતા કૃપલાણીને (જે. બી. કૃપલાણીનાં પત્ની) અને પ્રભાવતી (લોકનાયક જયપ્રકાશ નારાયણનાં પત્ની) (આ બંને નેતાઓ નહેરુના પ્રતિસ્પર્ધી પણ હતા)ને પહેલાં તો લગ્નની જ ના પાડી હતી, કેમ? બે સ્ત્રી અપરિણીત ન રહે તેથી? પછી માંડમાંડ બ્રહ્મચર્યની શરતે જ લગ્ન કરવા દીધાં ! આ રીતે આ બંને યુગલો તેજસ્વી સંતાનોથી વિહોણાં રહ્યાં !
૫. પરંતુ નહેરુનાં બહેન વિજયલક્ષ્મી પંડિત અને દીકરી ઈન્દિરા માટે આવી કોઈ પ્રતિજ્ઞા નહીં. આ ભેદભાવ કેમ?
૬. ગાંધીના આશ્રમના વિચિત્ર નિયમો જુઓ: છોકરા-છોકરીઓ એક સાથે નહાઈ શકે (જે આજે આટલા કહેવાતા બૉલ્ડ જમાનામાં પણ આપણે ત્યાં જાહેરમાં કે ઘરમાં નથી થતું) પણ પતિ-પત્નીએ અલગ-અલગ રહેવાનું !
જો બંનેમાંથી કોઈને ‘તીવ્ર ઇચ્છા’ થાય તો ઠંડા પાણીથી નહાઈ લેવાનું ! પરંતુ ગાંધીના પોતાના માટે આ નિયમ લાગુ પડતો નહોતો. પોતાના સેક્રેટરી પ્યારેલાલનાં આકર્ષક બહેન અને અંગત ફિઝિશિયન (ગાંધીએ આવાં બધાં કામો માટે પોતાની આસપાસ છોકરીઓ/સ્ત્રીઓ જ રાખી હતી) સુશીલા નય્યર સાથે ગાંધી નહાતા ! જ્યારે આ બેવડાં વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નિર્લજ્જતાથી કહ્યું, “સુશીલા નહાય છે ત્યારે હું આંખો બંધ રાખું છું. મને ખબર નથી કે તે નિર્વસ્ત્ર નહાય છે કે અંતઃવસ્ત્રો સાથે. પણ મને અવાજ પરથી ખબર છે કે તે સાબુનો ઉપયોગ કરે છે.”
૭. અતાર્કિક, નિર્લજ્જ અને સાંપ્રદાયિક હિંસા (તે પણ મુસ્લિમો દ્વારા થતી)ને શાંત કરવાના બદલે ગાંધીને ‘આત્મા’ના ‘શુદ્ધિકરણ’ માટે સ્ત્રી સાથે એક જ પથારીમાં નગ્ન સૂઈને બ્રહ્મચર્યની કસોટી કરવાના પ્રયોગોની સનક ઉપડી તે માની ન શકાય તો પણ આ વાહિયાત કારણને માની લઈએ. પણ તેના માટે ૧૩-૧૪ વર્ષની કુમળી વયની છોકરી અને તે પણ પોતાના ભત્રીજાની દીકરી મનુ અને ભત્રીજાના દીકરાની વહુ આભાને પસંદ કરવાની? કારણ? આજે આસારામ કે રામરહીમ આવું કરે તો મીડિયા કેટલો દેકારો કરે? કેટલા દિવસ દેકારો કરે? ફેમિનિસ્ટો કેટલાં ઊછળીઊછળીને બોલે ! મીડિયા કેવાં-કેવાં વિશેષણો વાપરે? પહેલાં તો આવી વ્યક્તિ માટે તુંકારો જ કરે. જ્યારે ગાંધીના કેસમાં આ વાતો પર આજેય કોઈ મીડિયા લખવાનું સાહસ નથી કરતું. (મેં જોકે અગાઉ ‘સંજોગ ન્યૂઝ’ની મારી કૉલમ ‘વિચાર વલોણું’માં આના વિશે સવિસ્તાર બે હપ્તામાં લખ્યું હતું. લિંક કૉમેન્ટમાં.)
૮. ચાલો, ન માની શકાય તો પણ એ પણ માની લઈએ કે ૭૬ લર્ષના ડોસાને તો શું ઇચ્છાઓ હોય? તેમના અંતઃસ્ત્રાવ પણ સાથ ન આપતા હોય તો ભલે નગ્ન સૂવે નગ્ન છોકરીઓ સાથે. પણ આ તો મનુ અને આભા બંને સાથે સૂતા હતા ! એટલે કે એક પથારીમાં ત્રણ જણાં એક સાથે? આનું જસ્ટિફિકેશન ગાંધીવાદીઓ શું આપશે?
૯. આ બધું ભલે ભારતની જનતાથી છુપાવાયું પણ આશ્રમના લોકો અને કૉંગ્રેસના શીર્ષ નેતાઓ તો જાણતા જ હતા. ગાંધીનો પરિવાર પણ જાણતો હતો. હરિલાલ વિદ્રોહી થઈ મુસ્લિમ બની ગયા તેનું કારણ એ નહોતું કે તેને ઇસ્લામ પસંદ હતો પણ એક માત્ર કારણ એ હતું કે પિતાને દુઃખી કરવા હતા. (હા, બહાર હિન્દુ-મુસ્લિમ ભાઈચારા અને રઘુપતિ…ઈશ્વર અલ્લાહ તેરો નામ ગવડાવતા ગાંધીને હરિલાલ મુસ્લિમ બન્યા તે પસંદ નહોતું. મણિલાલને તેની ગુજરાતી મુસ્લિમ પ્રેમિકા ફાતીમા ગૂલ સાથે પરણવા નહોતા દીધા. વિજયાલક્ષ્મી પંડિતને એક સજ્જન મુસ્લિમ સ્વતંત્રતા સેનાની અને પત્રકાર સૈયદ હુસૈન સાથે પરણવા નહોતાં દીધાં કારણકે પોતે નહોતા ઇચ્છતા અને મોતીલાલ-જવાહરલાલ પણ લગ્નની વિરુદ્ધ હતા. ગાંધી માનતા હતા કે આંતરપંથીય લગ્નથી સંઘર્ષ થાય છે. લગ્ન માટે પંથાંતરણ ખોટું છે.)
દેવદાસ મનુબેનને મૂકવા દિલ્લી સ્ટેશને ગયા હતા અને તેમને ચૂપ રહેવા કહ્યું હતું ! (‘મર્દાની’ જેવી ફિલ્મ માટે પર્ફેકટ વિષય, પણ યશરાજ ફિલ્મ્સ સાહસ કરી શકે?)
ગાંધીના સમાચારપત્રોના બે તંત્રીઓ સહિત સ્ટાફના કેટલાક લોકોએ આ ‘અધમ કૃત્ય’ના વિરોધમાં ત્યાગપત્રો આપી દીધા હતા કારણકે તેમને આ પ્રયોગો વિશે છાપવા ગાંધીએ કહ્યું હતું જેને તેમણે નકારી કાઢ્યું હતું. પણ તોય ગાંધીએ કહ્યું કે “જો હું (ચૌદ વર્ષની) મનુને મારી સાથે (નગ્ન) સૂવા ન દઉં તો એ મારી નબળાઈ (આજકાલ તેને ‘કમજોરી’ કહે છે) ન ગણાય?”
નહેરુ, સરદાર પટેલ સહિતના લોકો પણ આ બાબતે ચીડાયેલા હતા. તેમને એ વાતની પણ ચિંતા હતી કે આનાથી ગાંધીની (ઘડાયેલી) પવિત્ર છબિ (ઇમેજ)ને (અને સરવાળે અમારી તથા કૉંગ્રેસની છબિઓને) નુકસાન પહોંચશે.
૨૫ જાન્યુઆરી ૧૯૪૭ના દિને સરદાર પટેલે ગાંધીને પત્ર લખી જણાવ્યું હતુ, “કિશોરીલાલ મશરૂવાળા, મથુરદાસ અને રાજકુમારી અમૃત કૌરને તમે લખેલો પત્ર વાંચ્યો. તમે અમને દુઃખી કરી દીધાં છે. મને નથી સમજાતું કે તમે ફરી આ પ્રયોગ કરવાનું કેમ વિચાર્યું? આપણી વચ્ચે છેલ્લી વાત થઈ તે પછી એવું લાગતું હતું કે આ ‘કાંડ’ હવે પૂરો થયો છે. પરશુરામ શ્રદ્ધાળુ સેવક હતો અને તેના માટે તમારો તિરસ્કાર ખોટો છે (પરશુરામ ગાંધીના આ સનકી નિર્લજ્જ પ્રયોગોથી રોષે ભરાઈ આશ્રમ છોડી ચાલી ગયો હતો). તમને અમારી લાગણીની કંઈ પડી જ નથી. દેવદાસ પણ ઘણો દુઃખી છે. વધુ ચર્ચા કરીએ ત્યાં સુધી આ બધું બંધ કરો. તમારું આવું ત્રાસદાયક ભોપાળું સમજાતું નથી.”
આમ છતાંય ડોહા ન માન્યા. તેમણે અમદાવાદ નવજીવન પ્રકાશનમાં જીવણજી દેસાઈને ‘હરિજન’ સહિતનાં પ્રકાશનોમાં આ કાંડો વિશે છાપવા કહ્યું એટલે સરદારે પહેલા પત્રથીય વધુ આકરો પત્ર ૧૬ ફેબ્રુઆરી ૧૯૪૭એ લખ્યો, “જીવણજીને તમારા આદેશ પછી મેં તેમની સાથે વાત કરી. દરમિયાનમાં, મને મશરૂવાલાનો પણ પત્ર મળ્યો. રાજાજી (રાજગોપાલચારી) અને દેવદાસ મને આ બાબતે મળવા આવ્યા હતા. અમને બધાને લાગે છે કે તમારી જિદ તમે છોડો એમ નથી. આ બધું છાપવાથી વિશ્વને કોઈ લાભ થવાનો નથી. જો અમે અમારું હૃદય ચીરીને બતાવી શકતા હોત તો બતાવત કે અમને કેટલો ઊંડો ઘા વાગ્યો છે. આ વિવશ સ્થિતિમાં નવજીવને નિર્ણય કર્યો છે કે તેઓ આ પ્રયોગો વિશે કંઈ છાપી શકે તેમ નથી.”
નથુરામ ગોડસેએ ન માર્યા હોત તો પણ શું ઉપરોક્ત બધા લોકો આ સનકી ડોસાથી ત્રાસી નહોતા ગયા? ગાંધીનો સમાજ પર પ્રભાવ અને પકડ જોતાં તેઓ આવું બધું કરે (પેલા સાત અતાર્કિક હિન્દુ શરણાર્થી વિરોધી માગણીવાળા અંતિમ ઉપવાસ, બકરીનું જ દૂધ પીવાનું, બ્રહ્મચર્ય માટે ફ્રૂટ અને નટ ખાવાનાં, ટ્રેનમા થર્ડ ક્લાસમાં મુસાફરી વગેરે હઠાગ્રહો તો અલગ) તો કોણ ઇચ્છે કે તેઓ લાંબું જીવે?
૧૦. ગાંધી ભલે મોતીલાલ, જવાહરલાલ, વિજયાલક્ષ્મી, ઈન્દિરા વગેરેના ચુસ્ત સમર્થક હતા અને તેમના માટે લોકતંત્ર, પોતાના આશ્રમના બ્રહ્મચર્યના નિયમો વગેરે બધું જતું કરી દેતા હોય પણ જવાહરલાલ નહેરુ ગાંધીના આવા અભદ્ર પ્રયોગોથી પ્રસન્ન નહોતા. તેઓ જાણતા હતા કે આ બધાં કાંડ બહાર આવશે તો તેનાથી માત્ર ગાંધીની છબિને જ નહીં, કૉંગ્રેસની છબિને ન પૂરી શકાય તેવી ક્ષતિ થશે. એટલે તેમણે આ પ્રયોગોને ‘અસામાન્ય અને અપ્રાકૃતિક’ ગણાવ્યા હતા. ‘રંગીલા’ નહેરુ જાણતા હતા કે ગાંધીની અનેક નવદંપતીઓને આવી ગાંડી સલાહથી એ લોકોમાં ઘનઘોર નિરાશા આવશે. નહેરુએ એ તેમની આત્મકથામાં લખ્યું છે, “મને લાગે છે કે આ બાબતમાં ગાંધી સંપૂર્ણ ખોટા હતા…મને નથી ખબર કે તેઓ સેક્સની સમસ્યાના વળગણથી કેમ ગ્રસિત છે?”
શું ‘હું નથુરામ’ નાટકના વિરોધ કરનારા ગાંધીવાદીઓ, તેના વિરોધમાં હિંસા કરનારા કૉંગ્રેસીઓ તેમના પ્રિય નહેરુની આ વાત નકારી કાઢશે?
૧૧. ગાંધીના મૃત્યુ પછી મનુબેનની દશા બહુ ખરાબ થઈ હતી. તેઓ ડીપ્રેશનમાં સરી પડ્યાં હતાં. વિચાર તો કરો કે ચૌદ વર્ષની એ કુમળી વયે આવા પ્રયોગથી તેમના મગજ પર શું વિતી હશે? ગાંધીનું તો ઠીક, કે એ સંસારથી ‘પરવારેલા’ હતા પણ જેનો સંસાર હજુ શરૂ જ નહોતો થયો તેને એક નગ્ન પુરુષ સાથે નગ્ન સૂવાથી કેવી લાગણી થઈ હશે? તેને અને ગાંધી સાથે આ રીતે સૂનાર સ્ત્રીઓએ પોતાની ‘ઇચ્છા’ પર કેમ નિયંત્રણ રાખ્યું હશે? ખરેખર નિયંત્રણ રહ્યું હશે પણ ખરું? આશ્રમમાં સ્ત્રીઓ વચ્ચે ગાંધી સાથે આ રીતે સૂવા સ્પર્ધા થતી. આવું અત્યારે બને તો ગાંધી સામે બળાત્કાર અનૈ પૉક્સો બંને કલમો ન લાગુ પડે?
મનુબહેનને છેલ્લે હૉસ્પિટલમાં દાખલ કરાયાં ત્યારે તેમની સ્થિતિ ખૂબ કરુણ હતી. મોરારજી દેસાઈએ તેમની મુલાકાત લઈ નહેરુનૈ પત્રમાં (સારું છે કે ત્યારે પત્રો લખાતા તો આપણને આધારપુરાવા મળે છે. વિચાર કરો કે આ આધારપુરાવા છતાં ગાંધી વિશે આટલો ઢાંકપીછોડો હોય તો આ આધારપુરાવા ન હોત તો?) લખ્યું હતું કે “મનુની સમસ્યા શારીરિક કરતાં માનસિક વધુ છે. તેમણે જીવવાની આશા છોડી દીધી છે. તેમને હવે કોઈ ઔષધિ ગમતી નથી.”
અને વિચાર કરો કે એ વખતે અઢાર જ વર્ષના આભાબેનની શું દશા થઈ હશે? તેઓ તો પરિણીત હતાં એટલે તેમના પતિની પણ શું દશા થઈ હશે? બીજી અનેક સ્ત્રીઓની શું દશા થઈ હશે?
૧૨. આ ખરેખર પ્રયોગો જ હતા? ૧૯૭૦ના દાયકામાં જ્યારે સુશીલા નય્યરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સચ્ચાઈ જાહેર કરી કે ટીકાથી બચવા (ગાંધીની) આવી કુચેષ્ટાઓને બ્રહ્મચર્યના પ્રયોગોનું નામ આપી દેવાયું હતું ! “બાદમાં જ્યારે લોકોએ સ્ત્રીઓ- મનુ, આભા અને મારી સાથે ગાંધીના શારીરિક સંપર્ક વિશે પ્રશ્નૉ પૂછવાના શરૂ કર્યા ત્યારે ‘બ્રહ્મચર્યના પ્રયોગો’નો આઈડિયા આવ્યો. શરૂઆતના દિવસોમાં, આને બ્રહ્મચર્યના પ્રયોગો કહેવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.”
આવા ગાંધીને હજુય મહાત્મા ગણી શકશો?






