કહેવત કથા : ભાઈ-બાપા કરવા
~~~~~~~~~~~~~~~~~
ચેતન અને મહેશ બંને એક નિશાળમાં સાથે ભણે. ચેતન ગરીબ અને મહેશના ઘરવાળા પૈસાદાર. ચેતન કોઈ વાર મહેશનો કમ્પાસ કે ફૂટપટ્ટી માગે તો મહેશ ઘસીને ના પાડી દેતો. ચેતન કહેતો : ‘અરે, આપણે તો ભાઈબંધો છીએ’. પણ મહેશ એને ભાઈબંધ માનતો નહીં.
બંને મોટા થઈ ગયા. ચેતન પોલિસ ઓફિસર બન્યો ને મહેશ પોતાના વેપારમાં જોડાયો. એક દિવસ મહેશે એના નોકરને ખૂબ માર્યો. નોકરને દવાખાને લઈ જવો પડ્યો ને ત્યાં એ મૃત્યુ પામ્યો.
મહેશ પર ખૂનનો આરોપ આવ્યો. એને ખબર પડી કે ચેતન એના જિલ્લા પોલીસ ઉપરી છે. એ ચેતનના ઘરે મળવા પહોંચી ગયો. એણે કહ્યું : ‘ચેતન મારી ભૂલ થઈ ગઈ. મને બચાવી લે. તું તો ભાઈબંધ છે અને મારા મોટા ભાઈ જેવો છે.’
ચેતન કંઈ બોલ્યો નહીં એટલે મહેશ કહેવા લાગ્યો : ‘મારે હવે મા-બાપ પણ નથી. તું તો મારા બાપના સ્થાને ગણાય. મારા બાપુજી હોત તો મને બચાવત કે નહીં ? હવે તારે એમનું કામ કરવાનું છે.’ ચેતને કહ્યું : ‘તું મને ભાઈ ગણે કે બાપ ગણે એનો વાંધો નથી, પણ તું તારી ગરજે આવ્યો છે એનો મને વાંધો છે. હું તને સારો વકીલ કરાવવામાં મદદ કરીશ. બસ, આથી વધુ કંઈ નહીં.’
મહેશના ગયા પછી ચેતનની પત્ની બોલી : ‘જે તમને ભાઈબંધ ગણવા તૈયાર નહોતો એ અત્યારે તમને ભાઈ-બાપ ગણે છે.’ ચેતને કહ્યું ‘હા, આને જ ગરજ કહેવાય.’
– – – મુકેશ જોષી