Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Copied from the wall of shri Bhimshibhai Ahir

ત્રણ વરદાન

એક વાર એક ચતુર નામનો ખેડૂત ગાડું લઈને સાંકડાં રસ્તે જતો હતો. એને અચાનક એક કાચબી દેખાઈ જે રસ્તો ઓળંગતી હતી. એને એકદમ ગાડું ઉભું રાખ્યું અને કાચબીને બચાવી લીધી. કાચબીની પાછળ એના બે બચ્ચાં હતાં. ત્રણે યે રસ્તો ઓળંગ્યો ત્યાં સુધી ચતુરે નિરાંતે રાહ જોઈ.

રસ્તો ઓળંગ્યા પછી કાચબીમાંથી એક દેવી પ્રગટ થઈ અને ચતુરને કહ્યું, “ હે મનુષ્ય, હું તારા વર્તાવથી ખુબ પ્રસન્ન થઈ છું. તે અમારા ત્રણ પ્રત્યે જે સંવેદના બતાવી એ બદલ હું તને ત્રણ વરદાન આપવા માંગુ છું. હકીકતમાં હું તારી પરીક્ષા લેવા આવી હતી જેમાં તું સફળ રહ્યો છે.”

ચતુર ખુબ રાજી થયો અને તુરંત પહેલું વરદાન માંગવા ઉતાવળ કરી. દેવીએ તેને સાવધાન કરતાં કહ્યું, “ વરદાન માંગતી વખતે શબ્દો વિચારીને બોલજે, એક વાર બોલ્યા પછી એ બદલી નહિ શકાય.”

પહેલું વરદાન
ચતુર સમંત થતા બોલ્યો, “ મને એ વરદાન આપો કે મારે કંઈ કરવું ન પડે અને છતાં જરૂરી પૈસા મળ્યાં કરે.” દેવીએ તથાસ્તુ કહી તાકીદ કરી કે, “તે કંઈ નહિ કરવાની શરતે પૈસા મેળવ્યાં છે એટલે તારે તારા ઓરડામાં બંધ રહેવુ અને ઘરમાં જે પણ ચાલતું હોય તેમાં વચ્ચે પડવું નહિ. જો આ વાત નો ભંગ કરીશ તો મેળવેલ પૈસા પરત આપવા પડશે.”

ચતુરનું પ્રથમ અઠવાડિયું મફતમાં મળતાં પૈસાને લીધે આનંદમાં વીત્યું. પણ બીજા અઠવાડિયે બાળકો યાદ આવ્યાં. મહેમાનો આવીને જતાં રહ્યા પણ મળાયું નહી. બીમાર પત્નીની સંભાળ પણ ન લેવાઈ. ત્રીજું અઠવાડિયું વીતતાં સુધીમાં જિંદગી નિરર્થક લાગવા માંડી.

ચોવીસમાં દિવસે તેને દેવીનું સ્મરણ કર્યું. અને એ પ્રગટ થતાં પૈસા ભરેલ પાત્ર પાછું આપી બીજું વરદાન માંગવાની ઈચ્છા વ્યક્ત કરી.

બીજું વરદાન
દેવીએ હા પાડતાં ચતુર બોલ્યો, “ દેવી મારું પહેલું વચન ફોક કરો અને અડધા પૈસા આપજો પણ ઘરમાં રહેવાની અને કુટુંબની સંભાળ લેવાની છૂટ આપો. દેવીએ તથાસ્તુ કહી તાકીદ કરી તે ઘર અને કુટુંબની માંગણી કરી છે એટલે ઘરની બહાર ન જતો અને પરિવાર સિવાય બીજી કોઈ પંચાતમાં પડતો નહિ”

વળી પાછો એ જ ક્રમ ચાલ્યો. પ્રથમ સપ્તાહ આનંદ આનંદ, બીજા સપ્તાહે કંટાળો, ત્રીજા સપ્તાહે ખેતર અને મોલ ન જોવાનું દુઃખ, ઢોરોને હાથ ફેરવવા અને ચારપૂળો નહી નાખવાની બળતરા, દિવસે પંખીના માળા અને રાતે આભના તારાથી અળગા થવાની પીડા. ચતુરને જીવનમાં રસ ન જણાયો.

એકવાનમાં દિવસે તેને થાકી દેવીનું સ્મરણ કર્યું. દેવી પ્રગટ થતાં પૈસા ભરેલ પાત્ર પરત આપતાં તે બોલ્યો, “ માતાજી દશમાં ભાગના જ પૈસા આપજો પણ ઘર બહાર જવાની રજા આપો.” દેવી એ તથાસ્તુ કહેતા તાકીદ કરી, “ ઘર બહાર ખેતર છે, ત્યાં જજે પણ ગામમાં ના જતો નહી તો વરદાન ફોક થશે.”

વળી ધીમે ધીમે પૈસાથી ચતુરની દેગ ભરાવા માંડી. પણ દશ બાર દિવસે સાંજે પાદરના શંકરનાં મંદિરના ઓટલે બેસી દોસ્તો સાથે ગપ્પા મારવાની ઈચ્છા જાગી, વૃદ્ધ વિધવા રતનબાની ખબર ન પૂછાતાં પસ્તાવો થયો, અરે, પેલા પાદરના વડને પાણી કોણ પાતું હશે? ચતુરને ઘર ખેતર ખાવા ધાયા અને એ સવાર સાંજ ગામ તરફ નજર કરી બેસી રહેતો. અને સંઘમાં ચાલતાં જાત્રામાં ન જવાયું ત્યારે તો ચતુરની ધીરજની હદ આવી ગઈ.

ત્રીજું વરદાન
બ્યાંશીમાં દિવસે એને દેવીને વિનવ્યા. દેવી પ્રગટ થતાં એ બોલ્યો, “માતાજી મારે હરામની લક્ષ્મી નથી જોઈતી, બધું હતું એવું કરી દો”. દેવી મલકાયા અને બોલ્યા, “તને એક વાત કહું? લક્ષ્મીજી અને મારી વચ્ચે એક વર્ષથી શરત ચાલે છે કે માણસો પર કોનો પ્રભાવ વધારે છે. તેમની આટલી મહિમા હોવા છતાં તે શરત જીતી શક્યા નથી. અને તું પણ સંકોચ ન કરતો. એક વર્ષમાં તું દશમો વ્યક્તિ છે જેને ચતુરાઈ છોડી માણસાઈ અપનાવી છે, લાગણી સામે લક્ષ્મી જતી કરી છે અને જીતવા કરતાં જીવવું પસંદ કર્યું છે. તથાસ્તુ.”

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment