વિષય:- વઢિયારનાં હાલરડાં
લેખક :- રઘુ શિવાભાઇ રબારી “રાઘવ વઢિયારી”
મહામંત્રી, વઢિયાર સાહિત્ય મંચ,
સી.આર.સી.કૉ.ઓર્ડિનેટર, ભીલોટ તા;રાધનપુર (પાટણ)
-;- પ્રસ્તાવના -;-
અર્વાચીન યુગમાં મુદ્રણકલાનો વિકાસ થયો એ પહેલાં હજારો વર્ષોથી લોકકંઠે સચવાઈ રહેલું અને કાળને અતિક્રમિને પેઢી દર પેઢી એ પ્રદેશમાં ઉતરી આવેલું સાહિત્ય એ લોકસાહિત્ય.૧
તળપદી ભાષામાં મઢેલું અને અજ્ઞાત કર્તૃત્વ ધરાવતું આ સાહિત્ય કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. લોકસાહિત્ય સંચિત કરેલું સાહિત્ય છે અને એ સર્વ કોઈનું છે. દરેક પ્રદેશ કે પ્રજાને સાહિત્ય વારસામાં મળે છે. વઢિયારને પણ આવો વારસો મળ્યો છે. એ ઘણો સમૃદ્ધ છે.
હ્રદયમાં ઉત્પન થતા ઊર્મિ તરંગોને વાણી દ્વારા વ્યક્ત કરવાની મનુષ્યને મળેલી કુદરતી શક્તિનો પ્રત્યેક પ્રજાએ પોતાની સમજણ પ્રમાણે ઉપયોગ કર્યો છે. લોકગીતો કે લોકકથાઓ હવે ભલે ગ્રંથસ્થ થયાં હોય, પરંતુ એ સાહિત્ય એ ગ્રંથકારનું નથી. એનું કર્તૃત્વતો અજ્ઞાત છે. એનો જો કોઈ કર્તા કે રચયિતા હોય તો એ સમગ્ર લોકસમૂહ છે. કોઈ એકનું નથી. જેમ મધપૂડામાં તૈયાર થઈ નીકળેલું મધ કોઈ એક મધમાખીનું નથી તેમ.
મેઘાણીએ આ ક્ષેત્રે જે કેડી કંડારી હતી એ આજે રાજમાર્ગ બની છે. કારણ એ રસ્તે પુષ્કર ચંદરવાકર, શાંતિભાઈ આચાર્ય, કનુભાઈ જાની, ડોં.હસુ યાજ્ઞિક, નાથાલાલ ગોહિલ, ડોં.બળવંત જાની, નિરંજન રાજ્યગુરુ, જેવા સંશોધકો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભગવનદાસ પટેલ, ભોગીલાલ સાંડેસરા, ડોં. રાજેશ મકવાણા, પ્રેમજી પટેલ, ડોં.દિપકભાઈ પટેલ, પ્રભુદાસ પટેલ, પ્રાગજીભાઇ બામ્ભિ, ડોં.અમૃતભાઇ પટેલ, પ્રાંજલિ પટેલ, જ્યંતિલાલ દવે, મુરાદખાન ચાવડા, માધવ ચૌધરી, વિજયપુષ્પા ભગોરા, પ્રજ્ઞા પટેલ, વીરચંદ પંચાલ, મફત રણેલાકર જેવા ઉત્તમ સંપાદકો અને સર્જકો મળ્યા છે.
લોકસાહિત્ય એટલે ‘લોકો દ્વારા લોકો માટે રચાતું સાહિત્ય.’ આ સાહિત્ય શિસ્ટ સાહિત્ય કરતાં કઈક અંશે ભિન્ન છે. આ સાહિત્યનો સર્જક એક આખો સમુદાય છે. આ સર્જકો મોટે ભાગે અભણ હોય છે.૨
વાસ્તવમાં આ સાહિત્ય સમાજના રિવાજો, રૂઢિયો, પરંપરાઓ, અંધશ્રદ્ધા, પહેરવેશો, વગેરે સંસ્કૃતિનું આલેખન કરે છે. જનસમાજનાં સુખ-દુ:ખ, પ્રેમ, લાગણી, વ્યથા વગેરેને પોતાની બોલીમાં કંડારે છે. આ સાહિત્ય જ્યારે માનવનો ઉદ્દ્ભવ થયો ત્યારથી રચાયું છે.
-: વઢિયાર વિસ્તાર પરિચય :-
આજે આપણે વાત કરવી છે ‘વઢિયારનાં હાલરડાં’ વિશે, પણ એ પહેલાં હું આપને વઢિયારથી અવગત કરાવવા માગું છું વઢિયાર ક્યાં છે ? વઢિયાર કેવો છે ? વઢિયારી કોણ છે ? આ ત્રણ પ્રશ્નો દરેક શ્રોતા અને વાચકના મનમાં ઉદભવે સ્વાભાવિક છે. અને આ ત્રણેય પ્રશ્નોના જવાબ પણ છે મારી પાસે.
જાડેજા રાજપુતોના આદ્યસ્થાપક પુરુષ રાયધણજીએ ઘોરી સાથેના યુદ્ધમા પૃથ્વીરાજની મદદે સને ૧૧૧૯ માં ગયેલા તે દાઝમાં ઘોરીએ કચ્છ ઉપર ચડાઈ કરી ત્યારે રાધનપુર જે વિસ્તાર છે તે ભૂમિમાં મહમદ ઘોરીને ઓઢા જામ અને વિસળદેવે પાછો ભગાડેલો એ વખતે કચ્છના જામ રાયધણે કચ્છની સરહદ મજબૂત કરવા સને ૧૨૦૭ માં (૮-આઠ) કોટવાળું રાધનપુર વસાવ્યું. દૂર એક કોટબાંધી ચોકી બેસાડી. જેને જામ રાયધણના પુત્ર ઓઢા જામ સંભાળતા. એ વખતે બાંધેલો કોટ બહુ ઉપયોગી થયો. ફતેહ મળેલી જેથી આ કિલ્લાનું નામ ફતેહકોટ(ફતેહગઢ) રાખેલું. હાલ આ જગ્યાએ ઊંચા ટેકરાને ભુજીયા ભોરિંગનાગનું સ્થાનક છે. જામ અબડાનો વંશ “વડિયાર” કહેવાતો તે રાજ કરતા તે “વઢિયાર” કહેવાયું આમ જામ અબડાના વંશના નામ પરથી વઢિયાર પ્રદેશ બન્યો જે પહેલાં કચ્છ રાજમાં હતું૩
વઢિયાર, ઉત્તરે બનાસકાંઠાના ભાભર સૂઈગામ તાલુકાનો ‘મેવાહ’ વિસ્તાર દક્ષિણે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનો ‘ખારાપાટ’ વિસ્તાર પૂર્વે બનાસકાંઠાનો થરા ‘કાંકરેજી’, દિયોદર ‘હિન્દવાણી’ વિસ્તાર તથા મહેસાણાનો બહુચરાજી ‘ચુંવાળ’ અને પાટણનો ‘પાટણવાડા’નો વિસ્તાર જ્યારે પશ્ચિમે ક્ચ્છનું નાનું રણ અને ચોરાડ-વાગડ વિસ્તારની ભૌગોલિક સીમા ધરાવે છે.
એટલે કે વઢિયારમાં પાટણના સમી, શંખેશ્વર, રાધનપુરના સંપૂર્ણ ગામડા, હારીજ-સાંતલપુરના અડધા તથા ભાભર-થરા-સૂઈગામ-પાટડી આ તાલુકાનાં અમુક અમુક ગામોનો સમાવેશ થાય છે.૪
બનાસ, રૂપેણ, સરસ્વતી આ ત્રણ-ત્રણ નદીઓને ખોળે રમતો એક અનોખો પ્રદેશ એટલે વઢિયાર. વરસોથી એક ભવ્ય લોકસંસ્કૃતિને સાચવીને બેઠેલો આનર્તનો એક વટવાળો વિસ્તાર એટલે વઢિયાર. મહાભારત કાલીન ધર્મારણ્યનું લોહેશ્વર, અણહીલપુર પાટણના સ્થાપક વનરાજ ચાવડાનું વતન પંચાસર, ભક્તિનો ઘૂઘવતો મહાસાગર મા વરાણાની ખોડિયાર અને વીર વાછડાના શૌર્યને સાચવીને બેઠેલો રાધનપુરનો નવાબી વિસ્તાર એટલે વઢિયાર.૫
ટૂંકમાં કહીએતો ‘વઢિયાર, સૌરાષ્ટ્રની મીની આવૃતિ છે.’ સૌરાષ્ટ્ર અને કચ્છની ભૌગોલિક સીમા ધરાવે છે છતાં વઢિયાર કેમ હાંસિયામાં રહ્યું સમજાતું નથી. એમ કહોને કે ખરા અર્થમાં અસ્પૃશ્ય જ રહ્યો છે. ક્યારેક આ ભોમકા આવી મને કહે છે. “વરસોથી વેરાન બેઠી છું હું, બસ, એક પેન લઈ ખેડી જા.” નવાબી રાજના કારણે આ વિસ્તારનું સાહિત્ય કંઠોપકંઠ પરંપરાથી લેખિત સ્વરૂપ પામ્યું નહીં હોય..
‘વઢિયાર’ એક એવો પ્રાંત છે, જેના લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિમાં આજ દિવસ સુધી કોઈ નકર કામ થયું નથી. રમેશ ઠક્કર, રમેશ તન્ના નવઘણસિંહ વાઘેલા, ડોં.કિશોર ઠક્કર અને ડોં.બળદેવદાસ સાધુ જેવા વડીલો તેમજ મનુ ઠાકોર અને ચેતન રબારી આ ક્ષેત્રે સંશોધન કરી રહ્યા છે. એમને અભિનંદન.
વઢિયારના ગામેગામ સચવાયેલા પાળિયાઓ, લોકગીતો, લોકકથાઓ અને લોકનૃત્યો એ વઢિયારી સાહિત્ય છે. કવિ કાનથી માંડીને વઢિયારના ગામડે બળદનું પૂંછડું આમળતાં-આમળતાં દોહા-છંદ લલકાર તા ખેડૂત પાસે વઢિયારી સાહિત્ય છે.
અરે… અમાસની કાજળઘેરી રાતે અંધારાને ચીરીને કાન સુધી પહોંચતા તંબૂરના તારનાં ભાવવાહી ભજનો અને દશેરાના દિવસે ભજવાતી ભવાઈઓમાં પણ વઢિયારી સાહિત્ય છે. નેહડે મધુર ગીતડાં ગાતી રબારણ ને વનવગડે ગાયો ચારતા ગોવાળિયાના કંઠેથી નીકળતા હલકદાર રેગડીના સૂરો વઢિયારીને મન ઋગ્વેદની ઋચાઓ છે.
ધાન ધીંગા મન મોકળા,દલ દાતરી ઉદાર,
સંતો શુરાઓ સંચરે (ઈ) વસુંધરા વઢિયાર.
ધાબળ વરણી ધરતી, પાણી વાળો પટ,
મૂંછાળા ધાન નીપજે, વઢિયાર ધરાનો વટ.૬
વઢિયારની આગવી ઓળખ એ છે, કે વઢિયારની સંસ્કૃતિની અનોખી ભાત ધરાવે છે. અહીંનું કુટુંબ જીવન,સમાજ જીવન અદકેરું છે. વઢિયારનું ભાતીગળ લોકજીવન તેના ભવ્ય સાંસ્કૃતિક વારસાને સાચવી બેઠું છે. આનંદ-ઉલ્લાસને સુખ-દુ:ખના પ્રસંગોએ આ મોંઘેરા માનવીઓ પોતાની જીવનગાથાને કેવી રીતે રજૂ કરે છે એ જોવાનો, જાણવાનો અને માણવાનો વિષય છે.
-: હાલરડાની વિભાવના અને હાલરડાંના પ્રકારો :-
હાલરડાં બાળકાવ્યોનો એક વિશિષ્ટ અને મહત્વપૂર્ણ પ્રકાર છે. બાળકના સર્વાંગી વિકાસ માટે પયપાનની સાથે લયપાન પણ અત્યંત જરૂરી છે. હાલરડાં વિશ્વની દરેક ભાષામાં લખાયાં છે. દરેક પ્રદેશમાં તેની લોકબોલીમાં ગવાય છે. હાલરડું બાળકને ઊંઘાડવા માટેનું સાધન માત્ર નથી, પરંતુ માતાના સ્વરનો અમૃતસ્પર્શ આ હાલરડાં દ્વારા બાળક સુધી પહોંચે છે. બાળકને ભાષાનો અને સંગીતનો પ્રથમ પરિચય પણ હાલરડાં દ્વારા જ મળે છે.
હાલરડું માટે વઢિયારમાં ‘હાલા’ શબ્દ ઉચ્ચારાય છે. જ્યારે લોકડાયરામાં લોકસાહિત્યકારો ઘણીવાર કહેતા હોય છે ; “હાલરડું એટલે મા કહે છે, હાલ…હું…રડું…!” અને માતા પોતે ગમે એટલી થાકીપાકી હોય પણ પારણાની ઈ ઘોડિયાની દોરી હાથમાં લઈને અવર્ણીય સંગીતમાં ખોવાય જાય છે. જ્યાં થાક પણ રહેતો નથી.
“હાલરડાં એટલે પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં માતા કે બહેન વગેરે દ્વારા ગવાતાં ભાવવાહી અને સાદાં છતાં જ્ઞાનપેરક ટૂંકારી સ્વરોવાળાં ગીતો.”૭
-: ગર્ભસંસ્કારનાં હાલરડાં :-
બાળકનું ખરું શિક્ષણ તેના ગર્ભકાળથી જ શરૂ થઈ જાય છે. અને તે એના જીવનપર્યંત ચાલું રહે છે. સગર્ભા સ્ત્રીના શારીરિક, માનસિક, બૌધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસની અસરો ગર્ભસ્થ શિશુ પર પડે છે. આ અંગે સંશોધનો પણ થયાં છે. બાળક માતાના ગર્ભમાં 280 દિવસ રહે છે. આ સમયગાળો એના સમગ્ર જીવનનો પાયો બની રહે છે. માતાના વિચાર, લાગણીઓ, પ્રાર્થનાઓ અને સંકલ્પોની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે.૮
આવાં ગર્ભસંસ્કારનાં હાલરડાં વાઢિયાર પ્રદેશમાં પણ જોવા મળે છે.
પહેલા તે માસનાં વધામણાં હરિ હાલરડું રે,
બીજો માસ જાય રે ગોવિંદ હાલરડું રે.
આમ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમા માસ સુધીની પંક્તિઓ ઉપર મુજબ જ ગવાય છે . જ્યારે નવમા માસે બાળક જન્મે ત્યારે કામગરી માતાને સમય નથી માટે કહે છે.
દસમે જન્મ્યો કાન રે હરિ હાલરડું રે, માડી ! મને ‘હાલા ગાવ રે’ ગોવિંદ હાલરડું રે.
જાતાં તે નાખીશ હિંચકો હરિ હાલરડું રે, આવતાં ‘હાલા ગાઈશ રે’ ગોવિંદ હાલરડું રે.
પછીની પંક્તિઓમાં દાતણ-લોટો, નાવણ-જળકુંડી, દૂધડે-સમોવણ, સોનાથાળી ભરીને કંસાર, મુખવાસ આપવા સુધીના ઉદરમાં રહેલ બાળક અને માના સંવાદોની જોવા મળે છે .
-: શ્રીકૃષ્ણને સંબોધી ગવાતાં હાલરડાં :-
સામાન્ય જન સમાજની બાયું પોતાના બાળકમાં ભગવાન શ્રી કૃષણનું સ્વરૂપ જોઈને કૃષ્ણને સંબોધીને હાલરડાં ગાય છે.
પડવે પહેલાતના મહારાજ,
બીજે બોલ્યું નાનું બાળ ;
ગોકુળ આવજો ને મહારાજ !
આમ, આ હાલરડામાં પૂનમ સુધીની તિથિઓની સંખ્યામાં અલગ-અલગ કામગીરી બતાવીને ગવાય છે.
આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજભૂમિમાં આંબનો છે વાસ.
સખી રે ! આંબો રોપિઓ. ૯ અહીં ‘આંબાના પ્રતિક દ્વારા બાળકની વાત કરવામાં આવી છે. આવાં સાંકેતિક પ્રતિકો દ્વારા મા ભાવો વ્યક્ત કરતી.
આંબે વાસુદેવજી એ બીજ રોપિયાં, થયો દેવકી ખેતર પરકાશ,
સખી રે આંબો રોપિયો.
આંબે જશોદાજીએ જળ સિંચિયાં,ગોપ ગોવાળ સૌ આંબાના રખવાળ,
સખી રે આંબો રોપિયો.
આ હાલરડામાં વાસુદેવએ બાળરૂપી આંબાના બીજ દેવકીના ખેતરમાં રોપવાની વાત કરી છે. વળી જશોદાજી જળ સિંચન અને ગોપગોવાળો એના રખેવાળ થવાની વાતને સહજતાથી જેતે સામયની લાજમર્યાદા બતાવે છે.
આજ મારે ઘેર વાજયા સાંજી રે ! કૃષ્ણ સોહાગી બઈ મારુ આંગણું, હલુલુલુ….હાલા…હાલા….
આજ મારે ઘેર અતિ આનંદ ! કોંવર કાનજી પાયણે ! હલુલુલુ….હાલા…હાલા….
કો’તો કાનજી ! અંગ ગોરાં કરું, ગોંજે ભરું દેવને દાળિયા ! હલુલુલુ….હાલા…હાલા….
આવો તો કાનજી ! પેરાવું જામા રે ! તારાથી વાલુના કોઈ ! હલુલુલુ….હાલા…હાલા….
કો’તો કાનજી ! પેરાવું ઝુલડી રે ! તમારાં દર્શન દોને દેવ ! હલુલુલુ….હાલા…હાલા….૧૦
ઉપરના હાલરડામાં વઢિયાર વિસ્તારમાં પ્રથમ બાળક જન્મે “વધઈ વગાડવી” એ રિવાજ છે તેનો પડઘો જોવા મળે છે. વઢિયારમાં ઢોલીને બોલાવી પુત્રજન્મે આંગણામાં કુટુંબ-પરિવારના લોકોને બોલાવી કસુંબા-પાણી કરવામાં આવે છે. ઢોલ ઉપર મામાના ત્યાંથી આપવામાં આવેલ રૂમાલ મૂકીને કંકુ-ચોખાથી વધાવે છે. ઢોલીને ભેટ-સોગાત આપીને રાજી કરવામાં આવે છે. બાળકને મોસાળ પક્ષેથી કપડાં અને જણસ આપવામાં આવે છે. આ પ્રસંગને “વધઈ વગાડી” કહેવામાં આવે છે. આ હાલરડામાં વઢિયાર પ્રદેશમાં બહુ પાકતા ચણાના પાકનો પણ ઉલ્લેખ છે “ગોંજે ભરું દેવને દાળિયા !”
સોના રૂપાનાં મારાં પારણિયાં, પોઢોને ભગવાન, બાળા પોઢોને,
એટલું કીધુને કાન પોઢી ગયા, ને પોઢ્યા છે ભગવાન, બાળા પોઢોને,
અહી સોના-રૂપાનાં પારણિયે બાળકને ભગવાન કહીને પોઢાડ્યું છે. આટલું કહેતા બાળ ઊંઘી ગયું પણ માને ચિંતા થાય છે કે પોતે કામકાજ કરી રહી છતાં બાળક જાગ્યું નહિ એટલે એને શંકા થાય છે. અને નીચેની પંક્તિયું બોલે છે.
ઘરના કામકાજ કરી રિયાં ને, તોય ના જાગ્યાં બાળ,
પાડોસણ બેની તને રે કહું, જગડો મારો બાળ.
બઈ તારું બાળ બિયાણું, લાય ઉતારું લુણ,
લીલા તે વાંસનું પુંખડુંને ત્રણ શેરીની ધૂળ.
બાળક બિયાણું, ઝબક્યું ,નજર લાગવી, આવી માન્યતાઓ પણ હાલરડાંમાં જોવા મળે છે વળી એના પછીની પંક્તિમાં પરિણામ પણ આપવામાં આવ્યું છે.
એટલું કરતાં કાન જાગ્યા, જાગ્યા છે ભગવાન, બાળા પોઢોને.
બીજું એક કૃષ્ણ પ્રેમનું હાલરડું જોવા મળે છે. કૃષ્ણને ઝુલાવવાની સાથે-સાથે પારણિયાને સોના,,મોતી,માણેક, હિરલે જડાવી રંગબેરંગે રંગાવી,જરીવાળી ઝાલર મેલી શણગારવાની વાત ‘પોઢો પારણીયેના’ પ્રાસથી રજુ કરી છે. જેમાં વઢિયાર પ્રદેશની કલા સંસ્કૃતિના દર્શન થાય છે.
ઝુલો ઝુલો જશોદાના લાલ પોઢો પારણિયે, ઝુલો ઝુલો નંદજીના બાળ પોઢો પારણિયે,
તારું પારણિયું સોનલે મઢાવશુ રે ! મોતી માણેક ને હિરલે જડાવશુ રે,
તને ખમ્મા ખમ્મા કઉં નંદલાલ, પોઢો પારણિયે,
તારું પારણિયું રંગે રંગાવશું રે ! એને ઝાલર જરીની મેલાવશું રે,
તારાં હાલરડાં ગાઉં નંદલાલ , પોઢો પારણિયે,
તને રમવા રમકડાં આલશું રે ! નિત નવા નવા વાઘા પેરાવશું રે,
તારું મુખડું જોઈ હરખાઉ લાલ, પોઢો પારણિયે,૧૧
-: વીરપુરૂષો અને રાજવીઓનાં હાલરડાં :-
વઢિયાર વિસ્તારમાં સૌથી વધારે પ્રખ્યાત કોઈ હાલરડું હોય તો તે ‘વનરાજ ચાવડાનું હાલરડું’ છે. વનરાજ ચાવડાની રાજધાની વઢિયારના પંચાસરમાં હતી.
વનરાવનનો રાજા રે પોઢ્યો ઉંચે પારણે હો રાજ !
બહાદુર બાળો રાજા રે પોઢ્યો ઉંચે પારણે હો રાજ !
હાં રે પોઢ્યો જયશિખારીનો બાળ , હાં રે પોઢ્યો વેરીડાં કેરો કાળ.
હલકે ને હીંચોળું રે રાજા ગુર્જર દેશનો હો રાજ !
જુગતે ને ઝુલાવું રે મોભી ગુર્જર માતનો હો રાજ !
ઊંચેરી વડવાઈએ રે વનરાજનાં પારણાં હો રાજ !
અંકાશીલી ડાળ્યે રે બાળુડાનાં ઝુલણાં હો રાજ !
હાં રે માથે હીરે મઢેલું આકાશ , હાં રે માથે પૂનમનો અંજવાસ.
દૂધલડાં કાંઈ પીતો રે રૂપાવરણી રાતનાં હો રાજ !
ગોઠડિયું કાંઈ કરતો રે તારલિયાની સાથમાં હો રાજ !૧૨
આમ આ હાલરડાના ૬ (છ) બંધ છે. જેમાં વનરાજના રૂપનાં, પરાક્રમનાં વખાણ છે. સાથોસાથ વનરાજની માતાએ એને કયું છે કે આજ સુધી જીવું છું રે ગાવા શૂરનાં ગીતડાં હો રાજ ! ખરેખર વનરાજનું આ હાલરડું દરેક ગુર્જરવાસીએ વાંચવા, સાંભળવા અને ગાવા જેવુ છે. આ ઉપરાંત વનરાજનું એક બીજું હાલરડું કવિ ત્રિભોવન વ્યાસે રચેલું છે. પોઢો પોઢો મારા પારણે મારા બાળુડા વનરાજ,
ઝાડની ડાળીએ ઝૂલાવું, મારા ગુર્જરના શિરતાજ.
મારા બાળુડા વનરાજ ! ૧૩
વઢિયારના લોકદેવતા વચ્છરાજ સોલંકી (વાછડા દાદા)નું પણ હાલરડું સાંભડવા મળે છે.
ઝૂલે રે વચ્છરાજ કુંવર ઝૂલે રે વચ્છરાજ, કાલરી ગઢમાં ઝૂલે રે વચ્છરાજ !
પિતા હાથીજી ને માતા કંકુબાનો જાયો, ગાયનો રે વારુ ઝૂલે રે વચ્છરાજ !
બનાસનાકાંઠે વસતા લખાજી ગોહીલનું પણ એક હાલરડું સાંભળવા મળે છે.
લખાજીને લાડ લડાવું, હાલા શૂરવીરના ગાઉં,
શાદુળજી માગે શિવની આગે સુત દેજે શૂરવીર,
એ..કુરબાન કરે પંડની કાયા શિવને સોંપે શરીર.
રજપુતીનો રંગ ઈ રાખે, પરાક્રમી બેટડો પાકે॰
લખાજીને લાડ લડાવું, હાલા શૂરવીરના ગાઉં,
-: દેવી-દેવતાઓનાં હાલરડાં :-
લોકસાહિત્યના સૌથી વધારે ગીતો જો કોઈ દેવતાનાં જોવા મળતાં હોય તો રામદેવપીર છે. વઢિયારમાં રામામંડળની મંડળની મંડળીઓમાં રામદેવપીરનું હાલરડું જોવા મળે છે.
હાલરડું વાલું રે રામદેવજીને હાલરડું વાલું,
સોના પારણીયે હીરની છે દોરી, એ ઝૂલે પારણીયે વનમાળી. રામદેવજીને હાલરડું વાલું !
અહી પાછળની પંક્તિઓમાં માતા, પિતા, બહેન વગેરેના હાથે રામદેવજીના હાલા ગવાય છે.
સમગ્ર ગુજરાતના માલધારી સમાજના ઈસ્ટદેવ ગોગા મહારાજ અને સિગોતર(સિકોતર) માતાજીનાં પણ હાલરડાં વઢિયારમાં સાંભળવા મળે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં રમેલ (જાતર) હોય ત્યારે ગવાય છે. ગોગાજીનું હાલરડું ડાક સાથે ગવાય છે જેને હાલરડાં નહીં પણ ‘’હાલરિયાં’’ કહે છે. આ હાલરિયાં એ હાલરડાં જ છે.
સોના પારણે ઝુલો, ગોગા રૂપા પારણે ઝુલો, સોનાનાં પારણિયાં, ગોગા રૂપાનાં પારણિયાં,
ધરણીના રે ધણી, ગોગા વાંકડી મૂછો વાળા, કાશીના રે વાસી ગોગો પારણીયામાં ઝુલો,
હલુલુલુ હાલ….. ગોગા હલુલુલુ હાલ…..
ધોળા ઘોડા વાળા, બાપા ધોળી ધજા વાળા, શંકરના રે શણગાર બાપા પારણીયામાં ઝુલો,
મણિધર ઝુલો, ગોગા બાપા ફણીધર ઝુલો, પારસમણિ ગોગા બાપા પારણીયામાં ઝુલો..
હલુલુલુ હાલ….. ગોગા હલુલુલુ હાલ…..૧૪
નાગદેવતાને માનવ રૂપમાં ચિતરીને ભાવથી એના પણ હાલરડાં ગવાય છે. આ ઉપરાંત સિગોતર માતાજીનું પણ હાલરડું સાંભળવા મળે છે.
હાલો વાલો રે દેવી, હાલો વાલો, સંધની સિગોતર તને હાલો વાલો !
દરિયો વાલો રે બૂન દરિયો વાલો,દરિયાની દેવી તને દરિયો વાલો !
-: નેહડાનાં હાલરડાં – હાલા… :-
ગીરની જેમ વઢિયારમાં પણ લોકોની વસાહતને નેહડાઓ કહે છે. અને આ નેહડામાં રહેતા લોકોની આગવી સંસ્કૃતિ જોવા મળે છે. જ્યાં નિસ્વાર્થ સ્નેહ(નેહ) જોવા મળે છે તે ‘નેહડો’ છે. નેહડાની બાયો હાલા ગાય છે. જેમાં બાળકને લાડ લડાવવામાં આવ્યા છે તો ક્યાંક રમૂજ પણ જોવા મળે છે.
સોના રૂપાનું મારુ પારણું રે લોલ, પારણે પોઢ્યો મારો લાલ રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,
પારણે મોરપોપટ શોભતા રે લોલ, પારણું મોહાળનું વિમાન રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,
મોરવાયે ચાંદોસૂરજ કોતર્યા રે લોલ, એના પાયા પડ્યા ચાર દિશ રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,
સોયલો ઝૂલે બાળ પારણે રે લોલ, જાણે અંકાશે ઝગમગ તારલો રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,
હીરની દોરીએ માડી ઝુલાવતી રે લોલ, ‘રાઘવ’ હેતે હાલા ગાય રે, હળવે હેંસકો હું તો નાખતી રે લોલ,૧૫
ઉપરના હાલરડામાં વઢિયારી લઢણથી પદ્યને ગાવાથી એની હલક જોવા મળે છે. અહી પારણાને શણગારી મોહાળનું વિમાન કહેવામાં આવ્યું છે. આમ તો વઢિયારમાં મોટેભાગે પારણાં મોશાળથી આવેલી ભેટ હોય છે એટલે એને મોહાળનું વિમાન કયું છે. તો ‘રે લોલની’ પ્રાસ પંક્તિઓઓ ચમત્કૃતિ આપે છે.તો નીચેના હાલરડામાં વઢિયારના કલ્પવૃક્ષ બાવળમાંથી ઘોડિયાં બનાવવાની વાત કરી છે.
કાચા બાવળનું લાકડું રે ઘમર ઘૂઘરડી રે,
એનાં ઘડાવશું ઘોડિયાં રે ઘમર ઘૂઘરડી રે,
ઘોડીયે કોણ કોણ હિંચશે રે ઘમર ઘૂઘરડી રે,
હીંચશે ક્રિશક લાડકો રે ઘમર ઘૂઘરડી રે,૧૬
વઢિયારમાં પોતાની આગવી શૈલીથી આગવા રાગથી ગવાતું હાલરડું એ ‘હાલા’ છે. મા, બહેન કે કોઈપણ સ્ત્રી લાંબા લહેકાથી જ્યારે હાલા ગતિ હોય તો ઘડીવાર એ સાંભળીને હાલરડામાં પોઢવાનું મન થાય છે. એના શબ્દોમાં બહુ મર્મ નથી પણ એનો રાગ કર્ણપ્રિય હોય છે. હાલા હાલા કરતી ભૈ.. મારી ઋતુના હાલા ગાતી હાલા,
ઋતુ મારી અટારી એની કેડે બાંધો કટારી હાલા.
ઋતુ મારી વણઝારી એને શેર સોને શણગારી,
શેર સોનું કેવાનું સવાશેર સોનું પેરવાનું હાલા.
ઋતુ મારી વેપારી પૈસા લાવી બે પાલી,
બે પાલીના સવાયા ઋતુના કાકા ભવાયા હાલા.
હાલા હાલા ગાતી’તી ઋતુ વગર મરતી હાલા.
હાલો હાલો માડીનો લુલો પગશે મનાડીનો,
મનાડી ગઈ શે માળવે મારી ઋતુને પારણે કુણ જાળવે હાલા.
ઋતુના મામા આવે..શે…ફૂલ રૂમાલિયો લાવે હાલા.
ફુલ રૂમાલિયામાં નવલી ભાત,મારી ઋતુ પીવે ઘીની નાળ હાલા.
હાલરડાં દ્વારા જ ‘મા’ પોતાના બાળકમાં સ્નેહના રસો સીંચે છે. અને સ્નેહપાન કરાવતાં આજુબાજુના વાતાવરણનો પરિચય કરાવે છે. આવી કલ્પનાઓ બાળમાનસને જિજ્ઞાસાપ્રેરક બને છે. બાળકના મનને અનુરૂપ એની બોલચાલની લઢણને ધ્યાનમાં રાખીને માતા હાલરડાં જોડી કાઢે છે. તેમાંથી બાળકને ભાષાની સમજ, શબ્દ અને અર્થની સમજ, સંગીત અને લયનું એક માળખું બાળકના ચિતમાં સંક્રાન્ત થાય છે. આ રીતે હાલરડાં ભાષાશિક્ષણનું પણ કામ કરે છે. હાલરડામાં સંગીત, લય અને ઢાળની મધુરતા તરફ પણ બાળક આકર્ષાય છે.
હલુલુલું…હાલા ! હલુલુલું…હાલા ! જેવા રવાનુકારી જ્યારે અટારી-કટારી, માડી-મનાડી વગેરે દ્વિરુક્ત શબ્દો અને ઉક્તિનાં આવર્તનો-પુનરાવર્તનો તથા માતાના મધુર કંઠનું સંગીત બાળકને આનંદનો અનુભવ કરાવે છે.
અંતમાં એમ કહી શકાય કે હાલરડાં દ્વારા પ્રાપ્ત થતો સાંસ્કૃતિક વારસો,જાતિગત વિશેષતાઓ, સામાજિક પરિવેશ, લોકમાનસ, પશુ-પક્ષીઓ, દેવ-દેવીઓ, આકાશમંડળ આ બધાના શ્રવણથી બાળકનું હાડ બંધાય છે. હાલના સમયમાં હાલરડાં પણ બીજા લોકસંગીતની જેમ લૂપત્તાને આરે છે. તેને ગાવાવાળી દાદી-મા-ફઈ-કાકી-માસી-બહેન આધુનિકતાના રવાડે છે. જ્યારે આજ સ્ત્રીપાત્રો બાળકને ઘોડિયામાં સુવડાવી હાલરડાં ગાતીને બાળકના માનસમાં ભાવ-ભાષા-સંગીત અને સંસ્કારનાં અમૃત પાતી, એ હાલરડાં આપણી અમૂલ્ય સાંસ્કૃતિક વિરાસત છે. બાળક ,પારણું અને હાલરડું એ સૃષ્ટિના સર્જન અને પાલનપોષણના સ્તંભો છે.
સંદર્ભ :- (૧) “ગુજરાતની લોકસંસ્કૃતિ”- હસુતાબેન સેદાણી
(૨) “ઉતર ગુજરાતની લોકકથામાં મફત રણેલાકરનું પ્રદાન”- રાજેશ મોતીભાઈ રબારી, લોકગુર્જરી અંક માર્ચ-૨૦૨૦.
(૩) “કસુંબીનો રંગ” – દાનસિંહ જાડેજા ‘સત્યાર્થી’
(૪) ”વાતો ધરા વઢિયારની”-રાઘવ વઢિયારી
(૫) “વઢિયારની વાર્તા”-ડૉ.કિશોર ઠક્કર
(૬) કવિ મોડદાન ઝુલા
(૭) “લોકસાહિત્યકોશ”-સં.જેઠાલાલ ત્રિવેદી
(૮) તપોધન, પેમ્પલેટ ચિલ્ડ્રન યુનિવર્સિટી,ગાંધીનગર.
(૯) મુલાકાત : લક્ષ્મીબેન-મોતીપીંપળી, (૧૦) અગરબેન-વડા.(લેખકની બહેનો), (૧૧) જવાંબેન-લેખકનાં માતૃશ્રી
(૧૨) “કસુંબીનો રંગ”-ઝવેરચંદ મેઘાણી
(૧૩) ત્રિભુવન વ્યાસ
(૧૪) મનુ રબારી (ગીતકાર)
(૧૫) “ડિયર કિશુ”-રાઘવ વઢિયારી
Like this:
Like Loading...