એક રાજા હતો. એને વિચાર આવ્યો કે મારે મારી પ્રજા માટે એક સરસ મજાનો બગીચો બનાવવો છે. આ બગીચામાં તમામ પ્રકારના વૃક્ષો અને ફુલછોડ હોય એવો સુંદર બગીચો બનાવવો છે. આ માટે એમણે કેટલાક નિષ્ણાંત માણસો રોક્યા અને બગીચાનું કામ શરુ કર્યુ.
થોડા વર્ષો પછી એકવાર રાજા આ બગીચાની મુલાકાતે આવ્યા. એમણે આવીને જોયુ તો બગીચાના તમામ વૃક્ષો અને ફુલછોડ મુરઝાયેલા હતા. ફ્ળોથી લથબથ ઝાડ પણ ઉદાસ હતા અને ફુલોથી લચી પડેલ છોડ પણ ઉદાસ હતા. રાજાને એ નહોતુ સમજાતુ કે યોગ્ય માવજત કરવા છતા આ વૃક્ષો અને છોડવાઓ મુરઝાયેલા કેમ છે ?
એણે સફરજનના વૃક્ષને ઉદાસેનું કારણ પુછ્યુ તો સફરજનના વૃક્ષે કહ્યુ , ” અરે , મારામાં ફળ બહુ આવે છે પણ હું આ દેવદારની જેમ ઉંચુ કેમ નથી થઇ શક્તુ એ વિચારો મને પરેશાન કરે છે.” દેવદારના વૃક્ષે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યુ , ” હું બહુ ઉંચુ છુ પણ મને નાળીયેરીની જેમ ફળ કેમ નથી આવતા.” નાળેયેરીએ મુરજાયેલા ચહેરે કહ્યુ , ” મારામાં ફળ મુક્યા તો પણ આટલે ઉંચે મને દ્રાક્ષના વેલા જેવી કેમ ન બનાવી.”
વૃક્ષોના જેવી જ ફરીયાદ ફુલછોડની પણ હતી. પોતે બીજા જેવા કેમ નથી એ વાત ફુલછોડને પણ મુંઝવતી હતી. રાજા પોતાના સાવ નિસ્તેજ બગીચાને જોઇને ઉદાસ થઇ ગયા ત્યાં એની નજર થોડે દુર રહેલી એક વેલ પર પડી. વેલ એકદમ લીલીછમ અને તાજગીથી તરબતર હતી. રાજાને ખુબ આનંદ થયો એ દોડીને વેલ પાસે ગયો.
વેલને પુછ્યુ , ” આ બગીચાના બધા જ વૃક્ષો અને ફુલઝાડ મુરઝાયેલા છે તુ આવી તાજીમાજી કેમ છે ?” વેલ રાજાની સામે જોઇને હસી પછે બોલી , ” હું મારી સરખામણી બીજા કોઇ સાથે નથી કરતી. ફળોથી લથબથ વૃક્ષોને જોઇને કે ફુલોથી લચી પડેલ છોડને જોઇને મને દુ: ખ નથી થતું કે મારામાં ફળ કે ફુલ કેમ નથી ? કારણ કે હું સમજુ છુ કે આ બગીચામાં મને લાવતી વખતે મારા મહત્વને ધ્યાનમાં લઇને જ લાવવામાં આવી હશે. મને આ ધરતી પર રોપવામાં આવી ત્યારે રોપનારને ખબર જ હશે કે મારામાં ફળ કે ફુલ આવવાના નથી અને છતાય મને રોપી તો મારી આ બગીચાને સુંદર બનાવવા માટે કોઇ જરુર હશે. બસ મેં તો માત્ર મારી જાતને વિકસાવી જેથી હું મને અહીં લાવનારના ઉદેશને પૂર્ણ કરી શકુ અને મને એની મજા છે માટે હું તાજીમાજી છું “
મિત્રો , આ જગત રુપી બગીચો બનાવનારે આ પૃથ્વી પર મોકલેલા એક એક મનુષ્યનું મહત્વ છે. દરેકને જુદા જુદા કાર્ય માટે લાવવામાં આવે છે પરંતું આપણે આપણી સરખામણી બીજા સાથે કરીને બધુ હોવા છતાય સતત મુરઝાયા કરીએ છીએ.
રાજે કેંઝ