ગુજરાત સમાચાર ૨૨ મી ૨૦૨૦
બ્રાઝીલ પાસેના પરાના સ્ટેટમાં છે ભાવનગર બ્રીડના હજ્જારો ગૌ-વંશ
– આજે બોળચોથ – ગૌવંશના પુજનનું પર્વ

ભાવનગર, તા. 19 ઓગસ્ટ 2019, રવિવાર
શ્રાવણ વદ ચોથ-બોળચોથ તરીકે ઉજવાય છે. શ્રાવણી પર્વસમુહમાં આ પ્રથમ દિવસ છે. સોમવાર – આ દિવસે ગૌવંશ અને ખાસ કરીને ગાય અને વાછરડાની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અને સંસ્કૃતિ મુજબ આ ક્રિયાકાંડ થાય છે જ્યારે ગૌ-વંશની સ્થિતિ જુદી છે. પ્રત્યેક શહેર-ગામમાં રખડતી ગાયો, આખલા, ખૂંટનો ત્રાસ કાયમી બન્યો છે. આ પરિપેક્ષ અને આ બોળચોથના દિવસે ઇતિહાસ પર નજર કરતા પશુપાલન અને જીવદયા-સંસ્કાર મૂલ્યના ઉદાહરણ જોવા મળે છે.
ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પશુપાલન પ્રેમ અને જીવમાત્ર પ્રત્યે અનુકંપાના દસ્તાવેજ રૃપે ભાવનગરી ખૂંટનો દેહ આજે પણ દ. અમેરિકામાં સચવાયેલો છે. આઝાદી પછીના એ સમયમાં બ્રાઝીલ પાસેના પરાના રાજ્યના મોટા પશુપાલક મિ.ગ્રેસિયા સિડ ભારતમાંથી પણ સારા પશુઓ લઈ જતા અને પોતાના દેશમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ ચલાવતા. મિ. સિડને ભાવનગરની દરબાર ગૌશાળામાં ઉત્તમ કોટીનો ખૂંટ હોવાની માહિતી મળી તે ભાવનગર આવ્યા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળ્યા. સિડએ આ કૃષ્ણાખૂંટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી કોરો ચેક આપ્યો. મહારાજાએ આ પશુપાલકની પારખુ નજર અને પરદેશમાં ગુજરાતની એક બીડ-ઔલાદ ઉભી થાય તે હેતુથી ખૂંટ આપ્યો. મિ.સિડના મતે આ ખૂંટની કિંમત ૫૦,૦૦૦ હતી પરંતુ કૃષ્ણકુમારસિંહજીએ માત્ર રૃા.૧૦,૦૦૦ જ ચેકમાં લખ્યા.
આ ખૂંટ બ્રાઝીલના પરાના રાજ્યમાં લઈ જવાયો જ્યાં તેના દ્વારા ધણ ઉભું થયું જેને ભાવનગર બ્રીડ-ભાવનગર ઔલાદ તેવું નામ અપાયું. આ કૃષ્ણાખૂંટ અને તેના બીડ એટલી ઉપયોગી સાબિત થઈ અને ત્યાંના રાજયાધિકારીઓને એટલી પસંદ પડી કે ‘કૃષ્ણા’ના મૃત્યુ બાદ તેના દેહને સ્ટફ કરી પરાના મ્યુઝીયમમાં મુકાયેલ છે. કૃષ્ણકુમારસિંહજી ૧૯૬૩માં યુરોપ ગયા ત્યારે મિ.સિડએ તેમને સપરિવાર આગ્રહસહ પરાના સ્ટેટ બોલાવ્યા અને તેમના હસ્તે મહારાજ કૃષ્ણકુમારસિંહજી રોડ નામકરણ પણ થયું. એક પશુના કારણે આજે પણ ભાવનગરનું નામ વિદેશમાં ગૌરવ સાથે લેવાય છે અને આજ ભાવનગરમાં રખડતા આખલા, ખુંટ, ગાયને કારણે લોકો ત્રસ્ત છે.
સરકારને પશુનું ખરૂ મુલ્ય સમજાયું ન હતું
કૃષ્ણા ખુંટ દ. અમેરિકાના પશુપાલક લઈ ગયા તે પૂર્વે તે સમયની સૌરાષ્ટ્ર સરકારે પણ આ ખૂંટની માગણી કરી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સંમતિ આપી સરકાર કિંમત નક્કી કરે તેમ જણાવ્યું. સરકારી અધિકારીઓ કિંમત એટલી ઓછી જણાવી કે મહારાજાને લાગ્યું આ લોકોને પશુના યોગ્ય મુલ્ય વિશે ખબર નથી તે તેનો ઉછેર અને જાળવણી પણ ન જ કરી શકે. મહારાજાએ ખૂંટ ન આપ્યો. દેશ માટે પ્રથમ રાજ્ય સમર્પિત કરી દેનાર રાજવીને પૈસાનો સવાલ ન હતો પરંતુ પશુના જતનની ચિંતા હતી તેનો આ કિસ્સો ઉદાહરણરૃપ છે.
દુઝણી નહીં વસુકી ગયેલી ગાય માગી મોંઘીબાએ…
ખરી ગૌ-સેવા શું છે તેની સત્ય ઘટના મુકુંદરાય પારાશર્યના સત્યકથાઓ પુસ્તકમાં વાંચવા મળે છે. ગોહિલવાડના એક ગામની મોંઘીબા નામની વિધવાએ પતિની ઉત્તરક્રિયામાં ઘરની દુઝણી ગાય ગૌદાનમાં આપી દીધી. ગૌ-સેવા કરતા દંપતિની આ વિધવાને બીજી ગાય લઈ લેવા માટે ગામના ગરાસિયા દરબારે જણાવ્યું. ઠીક પડે તે ગાય લઈ જવા દરબારે જણાવ્યું ત્યારે વસુકી ગયેલી ગાય પસંદ કરી મોંઘીબા ઘરે લઈ ગયા. કોઈ દુઝણાની આશા વગર માત્ર ગૌસેવા માટે આ ગાય લીધી અને જીવંત પર્યત તેની સેવા કરી. છેલ્લા દિવસોમાં શરીર અટક્યું ત્યારે વૈદ્યએ દૂધ લેવા જણાવ્યું પરંતુ સમજણા થયા બાદ દૂધ, ઘી, દહીં કે છાસ પણ ન લેનાર મોંઘીબાએ દૂધ ન જ લીધું. તેમનું મૃત્યુ પણ ફળીયા બાંધેલી ગાય પાસે જ થયુ ંહતું. આ સત્ય ઘટના એ પુસ્તકમાં હૃદયદ્રાવક શબ્દો સાથે લખાયેલી છે. એક તરફ આવા વ્યક્તિ પણ હતા – હોય છે તો બીજી તરફ પોતાના દુઝણા ઢોરને ગામમાં પ્લાસ્ટીક ખાવા રખડતા મુકી દેનારા માલધારીઓ પણ છે.